એક તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અને બીજા ચાર અપક્ષ
સંજય દિના પાટીલ
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈમાં ૨૦ મેએ મતદાન થવાનું છે ત્યારે મુંબઈ નૉર્થ ઈસ્ટ બેઠકમાં એક જ નામની પાંચ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં મુખ્ય મુકાબલો સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મિહિર કોટેચા અને મહાવિકાસ આઘાડીમાં સામેલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર સંજય દિના પાટીલ વચ્ચે છે. અહીં આ બન્ને સહિત કુલ ૩૪ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના સંજય પાટીલ ઉપરાંત અન્ય ચાર સંજય પાટીલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં રાયગડ બેઠક પર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ સુનીલ તટકરેને ટિકિટ આપી હતી, તો તેમની સામે શિવસેનાના અનંત ગીતે હતા. અહીં અપક્ષ તરીકે બીજા એક સુનીલ તટકરેએ ચૂંટણી લડી હતી. અપક્ષ સુનીલ તટકરેને ૯૮૪૯ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં NCPના સુનીલ તટકરેનો ૨૧૧૦ મતથી પરાજય થયો હતો. રાયગડની આ પૅટર્ન આ વખતે મુંબઈ નૉર્થ ઈસ્ટ બેઠકમાં જોવા મળી છે.