રેસલર નરસિંહ યાદવ થયો કોરોનામુક્ત સર્બિયામાં યોજાનાર વર્લ્ડ કપ માટે જશે
રેસલર નરસિંહ યાદવ થયો કોરોનામુક્ત સર્બિયામાં યોજાનાર વર્લ્ડ કપ માટે જશે
ગઈ કાલે રેસલર નરસિંહ યાદવનો કોરોનો-રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે સર્બિયામાં રમાનારા વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે. આ વર્લ્ડ કપ ૧૨થી ૧૮ ડિસેમ્બર દરમ્યાન સર્બિયાના બેલગ્રેડમાં યોજાશે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના જણાવ્યા પ્રમાણે નરસિંહ ૧૪ ડિસેમ્બરે મેન્સ ફ્રી સ્ટાઇલ સ્ક્વૉડ સાથે બેલગ્રેડ માટે રવાના થશે. ચાર વર્ષના પ્રતિબંધ પછી નરસિંહે સ્પર્ધાત્મક રેસલિંગમાં કમબૅક કર્યું છે અને ૭૪ કિલોગ્રામની કૅટેગરીમાં તેણે જિતેન્દર કિન્હાને રિપ્લેસ કર્યો છે. જોકે કોરોનો-પૉઝિટિવ આવ્યા બાદ તે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
નરસિંહ યાદવે જણાવ્યું કે ‘મને થોડી શરદી હતી, પણ તાવ કે વાઇરસનાં લક્ષણ જરાય નહોતાં માટે મને ખબર હતી કે ટેસ્ટ નેગેટિવ આવશે. આ ટુર્નામેન્ટ માટે મેં ખૂબ મહેનત કરી છે. સર્બિયામાં હું બેસ્ટ પર્ફોર્મ કરીશ. લાંબા સમય પછી ટુર્નામેન્ટ યોજાઈ રહી હોવાથી એ રમવી મહત્ત્વની છે, કારણ કે સ્પર્ધામાં ઊતર્યા વગર આપણને આપણા સ્તરની ખબર નથી પડતી.’