કહ્યું કે મોદી પાછળથી હુમલો નથી કરતા કે નથી ચીજો છુપાવતા
નરેન્દ્ર મોદી
કર્ણાટકના બાગલકોટમાં ગઈ કાલે એક ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની બાલાકોટ ઍર-સ્ટ્રાઇકની વાત કરીને એક મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે આ ઍર-સ્ટ્રાઇકની સૌથી પહેલી જાણકારી હું પાકિસ્તાનને આપવા માગતો હતો, મેં કહ્યું હતું કે દુનિયાને જાણ કરતાં પહેલાં પાકિસ્તાનને આ ઘટનાની જાણકારી આપવી જોઈએ.
આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મોદી કદી પાછળથી હુમલો કરવામાં માનતા નથી, હું ખુલ્લામાં સામસામી ફાઇટ કરવામાં માનું છું. પુલવામામાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઍર-સ્ટ્રાઇક કરવામાં આવી હતી. મેં લશ્કરી દળોને કહ્યું હતું કે તમે મીડિયાને કૉલ કરો અને તેમને આ વિશેની જાણકારી આપો, પણ મેં કહ્યું હતું કે હું પાકિસ્તાનને ફોન કરીને રાતે કરેલી ઍર-સ્ટ્રાઇક અને એનાથી થયેલી ખુવારીની જાણકારી આપીશ. જોકે પાકિસ્તાનના લોકો ફોન પર આવ્યા નહીં એટલે મેં લશ્કરી દળોને થોડી રાહ જોવા જણાવ્યું હતું. રાતે ૧૨ વાગ્યે પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત થઈ અને તેમને આ જાણકારી આપી ત્યાર બાદ વિશ્વને અમે ઍર-સ્ટ્રાઇકની જાણ કરી હતી. મોદી કદી કોઈ ચીજ છુપાવવામાં વિશ્વાસ નથી કરતા કે ના તે પાછળથી હુમલો કરે છે.’
ADVERTISEMENT
જે લોકો દેશમાં નિર્દોષ લોકોની હત્યા કરવા માગે છે તેમને ચેતવણી આપતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ નવું ભારત છે, ઘરમાં ઘૂસી જઈને મારશે. જ્યારે ઍર-સ્ટ્રાઇકની જાણકારી આપવામાં આવી ત્યારે ઘણા લોકોને લાગ્યું કે લશ્કરી દળો કર્ણાટકમાં આવેલા બાગલકોટની વાત કરી રહ્યા હશે એમ જણાવીને વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘પત્રકાર પરિષદમાં આ ઍર-સ્ટ્રાઇકની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૪૦ જવાનો શહીદ થયા હતા અને એનો બદલો લેવા માટે ભારતે ૨૦૧૯ની ૨૬ ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાનમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ટેરરિસ્ટ ટ્રેઇનિંગ કૅમ્પ પર ઍર-સ્ટ્રાઇક કરી હતી અને એમાં સેંકડો આતંકીઓનો સફાયો બોલાયો હતો.