રાહુલ ગાંધીને મોગલોના અત્યાચાર યાદ નથી, સુલતાનના અત્યાચારો બાબતે શહઝાદાના મોં પર તાળું લાગી જાય છે
ગઈ કાલે કર્ણાટકની ઉત્તર કન્નડા બેઠક માટે યોજાયેલી નરેન્દ્ર મોદીની ચૂંટણીસભામાં તેમને મોરપીંછનો અનોખો મુગટ પહેરાવવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કર્ણાટકમાં ચાર રૅલીને સંબોધન કર્યું હતું. સૌથી પહેલાં તેમણે બેલગાવીમાં જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે કર્ણાટકમાં હું જ્યાં-જ્યાં ગયો ત્યાં મને એક જ સ્વર સંભળાય છે : ફિર એક બાર મોદી સરકાર.
વિવિધ મુદ્દે નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
ADVERTISEMENT
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના બહાને કૉન્ગ્રેસે ભારતના લોકતંત્રને બદનામ કરવાની કોશિશ કરી. ૧૦ વર્ષમાં ભારત વધુ શક્તિશાળી બન્યું અને હવે ભારતની ઓળખ લોકતંત્રની જનની તરીકે થવા લાગી છે. પચીસ કરોડ લોકો ગરીબીરેખામાંથી બહાર નીકળ્યા છે. ભારત જ્યારે આગળ વધે છે ત્યારે દરેક ભારતવાસીને ગર્વ થાય છે.
કૉન્ગ્રેસના શહઝાદા પાપને આગળ વધારી રહ્યા છે. તેમણે રાજપૂતો વિશે જે નિવેદન આપ્યું છે એ સૌએ સાંભળ્યું છે. કૉન્ગ્રેસના શહઝાદાએ છત્રપતિ શિવાજી મહારાજ, ચિન્નમા મહારાણી જેવાં મહાન લોકોનું અપમાન કર્યું છે જેમની દેશભક્તિ આજે પણ આપણને પ્રેરણા આપતી રહે છે. જાણી-વિચારીને તુષ્ટીકરણની રાજનીતિ માટે આપવામાં આવેલું આ નિવેદન છે.
રાજા-મહારાજાઓ વિશે એલફેલ બોલી દીધું, પણ બાદશાહો અને સુલતાનના અત્યાચારો પર શહઝાદાના મોં પર તાળું લાગી જાય છે. જેમણે આપણાં મંદિરોને તોડીને અપમાન કર્યું એવા ઔરંગઝેબનાં ગુણગાન કરનારાઓ સાથે તેઓ હાથ મિલાવે છે. ગૌહત્યા અને લૂંટફાટ કરનારા નવાબ શહઝાદાને યાદ આવતા નથી જેમણે ભારતના વિભાજનમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે. અહીં બેલગાવીમાં એક બહેન સાથે જે થયું, એક જૈન મુનિ સાથે જે થયું એ શર્મનાક છે. હુબલીમાં આપણી એક બેટી સાથે જે થયું એનાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. બૅન્ગલોરની કૅફેમાં બૉમ્બધડાકો થયો છે તો એને પણ ગંભીરતાથી લેવામાં આવ્યો નથી.