નૌસેનામાં બોગસ બિલ કૌભાંડ : ચાર રાજ્યોનાં 30 સ્થળે દરોડા
પ્રતીકાત્મક તસવીર
નૌસેનામાં બોગસ બિલ દ્વારા કૌભાંડનો કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)એ ચાર રાજ્યો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આશરે ૩૦ સ્થળે દરોડા પાડ્યા છે. હકીકતે પશ્ચિમી નૌસેના કમાને આઇટી હાર્ડવેરના પુરવઠા માટે બોગસ બિલ બનાવીને ૬.૭૬ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે.
એક આરોપ પ્રમાણે કૅપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે અને આર. પી. શર્મા તથા પેટી ઑફિસર એલઓજી (એફએન્ડએ) કુલદીપ સિંહ બઘેલે કથિત રીતે ૬.૭૬ કરોડ રૂપિયાના સાત બોગસ બિલ તૈયાર કર્યાં હતાં. દરોડા દરમ્યાન પોલીસને ૧૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે અને તે સિવાય કેટલાક મહત્ત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર કેસ પશ્ચિમી નૌસેના કમાનમાં આઇટી હાર્ડવેરના પુરવઠા માટે આકસ્મિક ખર્ચના બિલની ચુકવણી સાથે સંકળાયેલો છે. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો સંરક્ષણ મંત્રાલયની આંતરિક તપાસમાં થયો હતો. ત્યાર બાદ સંરક્ષણ મંત્રાલયે ૨૩ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ સીબીઆઇને જાણકારી આપી હતી. સંરક્ષણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ સીબીઆઇએ કેસ નોંધ્યો હતો.