ગણતંત્ર દિન પર હુમલો કરવાનું ષડ્યંત્ર નિષ્ફળ, 5 આતંકવાદીઓની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
૨૬ જાન્યુઆરીના જમ્મુ-કાશ્મીરમાં એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓની ગુરુવારની સાંજે ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરની મોટી કાર્યવાહીમાં આ આતંકવાદી શ્રીનગરના હઝરતબલ વિસ્તારમાંથી અરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન પણ મળી આવ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે આતંકવાદીઓના એક મોટા મોડ્યુલનો ભાંડો ફોડતા પોલીસે ગુરુવારે સાંજે હજરતબલની પાસે આ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પકડાયેલા આતંકવાદીઓ શ્રીનગરમાં ૨૬ જાન્યુઆરીની આસપાસ ફિદાયીન અથવા આઇઇડી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી પોલીસે ભારે પ્રમાણમાં વિસ્ફોટકો અન્ય સામાન્ય જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ તમામ લોકો ખીણમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરી રહ્યા હતા. પકડાયેલા આતંકવાદીઓ ખીણમાં થયેલા બે ગ્રેનેડ અટૅકમાં પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. એજન્સીઓના અધિકારીએ આ તમામ સાથે સખત પૂછપરછ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ પાસે ખીણમાં થઈ રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અને ષડયંત્રો વિશે કેટલીક મહત્વની જાણકારીઓ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાશ્મીરના કુલગામથી પણ બે આતંકવાદીઓને સેનાએ ઝડપ્યા હતા. આતંકવાદીઓની સાથે કુલગામમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિંદરસિંહને પણ અધિકારીઓએ ઝડપ્યા હતા. દેવિંદરસિંહની આતંકવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.