આઇબી ઑફિસરની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર
નોર્થ-ઈસ્ટ દિલ્હી હિંસામાં વધુ એકનો જીવ ગયો છે. હિંસામાં ઉપદ્રવીઓએ એક આઇબી ઑફિસરની હત્યા કરી દીધી છે. અંકિત શર્મા નામના આઇબી ઑફિસર સોમવાર રાતથી ગુમ હતા. આજે તેમનું શબ એક નાળામાંથી મળી આવ્યું હતું. ચાંદબાગ પુલિયા નાળામાંથી પોલીસે આઇબીના ઑફિસરનું શબ બહાર કાઢ્યું હતું. પાસેના આપના સમર્થકોવાળા બિલ્ડિંગમાંથી આઇબીના ઑફિસરો પર પથ્થરમારો કરાયો હોવાનું કહેવાય છે.
મૃતક અંકિત શર્મા ખજૂરીમાં રહેતા હતા. મંગળવારે સાંજે તેઓ ડ્યૂટી પરથી પરત ફરી રહ્યા હતા. આરોપ છે કે ચાંદબાગ પુલિયા પાસે અમુક લોકોએ તેમને ઘેરી લીધા હતા અને મારપીટ કરીને તેમની હત્યા કરીને શબને નાળામાં ફેંકી દીધો હતો. અંકિત શર્માના પરિવારજનો મંગળવારથી જ તેમની તપાસ કરી રહ્યા હતા. અંકિતના પિતા રવિન્દર શર્મા પણ આઇબીમાં હેડ કૉન્સ્ટેબલ છે. તેમનું કહેવું છે કે પીટાઈની સાથે અંકિતને ગોળી પણ મારવામાં આવી છે. પોલીસે શબને કબજામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે જીટીબી હૉસ્પિટલ મોકલી દીધું છે.