દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડને પડકારતી પિટિશન દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી
અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારતી પિટિશન દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ એકદમ કાયદેસર છે; કોર્ટ કાયદાથી ચાલે છે, રાજકીય દબાવથી નહીં. અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પૉલિસીના મુદ્દે મની લૉન્ડરિંગ કેસમાં કરવામાં આવેલી ધરપકડને દિલ્હી હાઈ કોર્ટમાં પડકારીને રિમાન્ડનો વિરોધ કર્યો હતો.
હાઈ કોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું હતું કે આ પિટિશન જામીન માટે નથી પણ એ તેમની ધરપકડને પડકારે છે, અરજદારનું માનવું છે કે ધરપકડ ખોટી રીતે થઈ છે. કોર્ટે નોંધ્યું હતું કે ‘કેજરીવાલ દિલ્હી શરાબ નીતિના આખા ષડયંત્રમાં સામેલ હતા એટલું જ નહીં, લાંચ લેવામાં અને આ ગુનો કરવામાં જે ચીજો થઈ છે એ તમામમાં તેઓ સામેલ હતા. AAPના કન્વીનર તરીકે કેજરીવાલ ખુદ શરાબ નીતિ બનાવવાની સાથે-સાથે લાંચની રકમ જમા કરવામાં પણ સામેલ હતા. કેજરીવાલની ધરપકડ કાયદાનું ઉલ્લંઘન નથી, તેમની ધરપકડ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ થઈ છે અને એ કાયદામાં કોઈ વિશેષાધિકાર અપાય નહીં. આ કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો કેસ નથી, પણ ED અને કેજરીવાલ વચ્ચેનો કેસ છે.’
અપ્રૂવરનાં નિવેદન
આ કેસમાં અપ્રૂવરના નિવેદન વિશે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. EDએ કહ્યું હતું કે રાઘવ મુંગટા અને શરત રેડ્ડીનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે ‘આ કેસમાં જે નિવેદન નોંધવામાં આવ્યાં છે એ કોર્ટની સમક્ષ નોંધવામાં આવ્યાં છે. અપ્રૂવરનાં નિવેદન ED નહીં, પણ કોર્ટ નોંધે છે. સરકારી સાક્ષી બનાવવાનો નિર્ણય કોર્ટ નક્કી કરે છે. અપ્રૂવરના નિવેદન અને માફી આપવા પર સવાલ ઉઠાવવા એ અદાલતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવવા સમાન છે. તપાસની પ્રક્રિયા કોઈ વ્યક્તિની સુવિધા અનુસાર ચાલતી નથી.’
ED પાસે પુરાવા
કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં ED પાસે પુરાવા છે. હવાલા ડીલરોનાં નિવેદન, અપ્રૂવરનાં નિવેદન અને AAPના મેમ્બરોનાં નિવેદન છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગોવામાં
ચૂંટણીના ખર્ચ માટે ૪૫ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ મની-ટ્રેઇલ પણ પૂરી જાણવા મળી છે.’
હાઈ કોર્ટના ઑર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પિટિશન દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દેતાં હાઈ કોર્ટના આ આદેશ સામે હવે કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદાનું અમે સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે અમે સહમત નથી તેથી અમે એના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું અને અમારી વાત રજૂ કરીશું.