ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી વાર સીઈઓની નિમણૂક
ભારતીય રેલ
ઇન્ડિયન રેલવે લૉકડાઉનના સમયમાં ભલે મર્યાદિત કામ કરતી રહે, પણ ઇતિહાસ રચવાની તક ગુમાવી શકે એમ નથી. મુદ્દાની વાત એ છે કે ભારતીય રેલવેને હવે એનો પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મળી ગયો છે. તાજેતરમાં કૅબિનેટની અપૉઇન્ટમેન્ટ કમિટીએ રેલવે બોર્ડનું પુનર્ગઠન કરવાની સાથે-સાથે રેલવેના વર્તમાન ચૅરમૅન વી. કે. યાદવને રેલવે બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરપદે અપૉઇન્ટ કર્યા છે. ડિસેમ્બરમાં યુનિયન કૅબિનેટે ૧૧૪ વર્ષ જૂની રેલવે બોર્ડને વધુ સક્ષમ બનાવવાનો નિર્ણય કર્યો હતો જેના ભાગરૂપે આ પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરની સાથે અન્ય ચાર સભ્યોને પણ પસંદ કરવામાં આવ્યા છે; જેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોલિંગ સ્ટૉક, ફાઇનૅન્સ ઍન્ડ ઑપરેશન તેમ જ બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગ સંભાળશે. આ વિભાગ અનુક્રમે પ્રદીપકુમાર, પી.સી. શર્મા, પી.એસ. મિશ્રા અને મંજુલા રંગરાજનને સોંપવામાં આવ્યા છે. આ સાથે રેલવે બોર્ડની ત્રણ મહત્ત્વની પદવીઓ સ્ટાફ મેમ્બર, એન્જિનિયરિંગ મેમ્બર અને મટીરિયલ મૅનેજમેન્ટ મેમ્બર સરેન્ડર કરવામાં આવશે જેની સામે રોલિંગ સ્ટૉક મેમ્બરનો ઉપયોગ ડિરેક્ટર જનરલ હ્યુમન રિસોર્સની પદવી બનાવવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત હાલની દરેક સુવિધાઓ સિંગલ સેન્ટ્રલ સર્વિસમાં મર્જ કરી દેવામાં આવશે.