કૉન્ગ્રેસની ખોટી નીતિઓથી દેશ બરબાદ થયો : વડા પ્રધાન
મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હરિયાણાના એલાનાબાદ ખાતે વિધાનસભા ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે જાહેર સભાને સંબોધતાં વિપક્ષ પર તીખા વાક્બાણ છોડ્યા હતા. પીએમ મોદીએ આક્ષેપ કરતાં કહ્યું કે ‘કૉન્ગ્રેસની ખોટી નીતિઓને કારણે જ દેશ બરબાદ થયો છે તેમ જ જમ્મુ અને કાશ્મીર સાથે અન્યાય થઈ રહ્યો હતો. કૉન્ગ્રેસના કારણે ભારતનો એક ભાગ પાકિસ્તાન પાસે છે અને આજે એને પીઓકેના નામે ઓળખવામાં આવે છે. કૉન્ગ્રેસની સરકારના કારણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં હંમેશાં સુધારો થયો નહોતો. કૉન્ગ્રેસે આઝાદી બાદ પાકિસ્તાનને મદદ કરી એટલે પીઓકે પાકિસ્તાન પાસે છે.’
વડા પ્રધાન મોદીએ જાહેર સભામાં પોતાનો અસલી આક્રમક મિજાજ દેખાડ્યો હતો. તેમણે હાજર જનમેદનીને જણાવ્યું કે ‘તેમની સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-૩૭૦ને હટાવવાની હિંમત કરી હતી. કૉન્ગ્રેસની સરકારે ૭૦ વર્ષ સુધી જે કામ ન કર્યું એ તેમની સરકારે કરી બતાવ્યું. આ કલમ અસ્થાયી હતી જેને કૉન્ગ્રેસે હટાવવા કોઈ જ કાર્યવાહી કરી નહીં.’ પીએમે ઉપસ્થિત મેદનીને કહ્યું કે જ્યારે તમે મને પાંચ વર્ષ માટે કાયમી બનાવી દીધો છે તો હું શા માટે અસ્થાયી કલમ અમલમાં રાખું.
કાશ્મીરનો વિનાશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે કૉન્ગ્રેસ આંખ બંધ કરીને બેસી ગઈ હતી. કૉન્ગ્રેસના કારણે કાશ્મીરમાં ૭૦ વર્ષ સુધી બાબાસાહેબ આંબેડકરનું બંધારણ લાગુ કરવામાં આવ્યું નહોતું.
ADVERTISEMENT
પીએમે વધુમાં ઉમેર્યું કે ચાર લાખથી વધુ કાશ્મીરી પંડિતોને તેમનું ઘર છોડીને જવાની ફરજ પાડવામાં આવી હતી. દરમિયાન કરતારપુર કૉરિડોર મુદ્દે પણ તેમણે કૉન્ગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે આટલાં વર્ષોથી કરતારપુર સાહિબ ગુરુદ્વારાનાં દર્શન માટે લોકોને દૂરબિનનો ઉપયોગ કરવો પડતો હતો, જ્યારે હવે દર્શન માટે કરતારપુર કૉરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે અને લોકો ત્યાં પહોંચી શકશે. ભાગલા વખતે કરતારપુર સાહિબ ગુરુદ્વારાને ભારતીય હદમાં નહીં લાવવાની વિપક્ષે ભારે ભૂલ કરી હતી.
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો હતો. ચૂંટણીરૅલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતના ભાગનું એક ટીપું પણ પાણી પાકિસ્તાનમાં જવા દેવામાં નહીં આવે. હરિયાણાનો ખેડૂત પાણી માટે તડપે છે. અહીંનાં ખેતરો સૂકાં પડી રહે છે અને પાકિસ્તાનનાં ખેતરોમાં હરિયાળી છવાય એ કેવી રીતે બને. તેમણે હુંકાર ભરતાં કહ્યું હતું કે હું ભારતના ભાગનું પાણી પાકિસ્તાનમાં કોઈ પણ ભોગે નહીં જવા દઉં.
તેમણે કહ્યું હતું કે ભારતના ભાગનું એક ટીપું પાણી પણ પાકિસ્તાનમાં વહી જવા દેવામાં આવશે નહીં. આ ભારતના ખેડૂતોના ભાગનું પાણી છે અને એનો ઉપયોગ દેશના લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. પીએમ મોદીએ ઇશારામાં જ કૉન્ગ્રેસ અને સ્થાનિક પાર્ટીઓ પર નિશાન તાકતાં કહ્યું હતું કે અગાઉની સરકારોના કાર્યકાળમાં ભારતના ભાગનું પાણી પાકિસ્તાનમાં જતું હતું અને એ સમયની સરકારોએ આ પાણી રોકવા માટે કોઈ જ પ્રયાસ ન કર્યા. ત્યાં સુધી કે બંધ બાંધવાની દિશામાં વિચાર્યું પણ નહીં.
આ પણ વાંચો : આધ્યાત્મિક ગુરુ કલ્કિ ભગવાન પાસે 500 કરોડથી વધુની બેનામી સંપત્તિ
કૉન્ગ્રેસે તો હરિયાણાને પોતાનું ચારાનું મોકળું મેદાન સમજી લીધું છે. તેમણે રૉબર્ટ વાડ્રા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના જમાઈને જ્યારે જમીન જોઈએ ત્યારે તે હરિયાણા આવે છે.