પદ્મ અવૉર્ડ મેળવનાર અનસંગ હીરોની ઇમ્પ્રેસિવ યાદી
ચંડીગઢની પીજીઆઇ હૉસ્પિટલની બહાર દરદીઓ તથા તેમના સ્વજનોને વિનામૂલ્યે ભોજનની સેવા પૂરી પાડનારા જગદીશલાલ આહુજા, ૨૫,૦૦૦ કરતાં વધુ બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયા કરનારા ફૈઝાબાદના મોહમ્મદ શરીફ અને આસામના હાથીઓના ડૉક્ટર કૌશલ કન્વર શર્મા આ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર મેળવનારી ખાસ જાણીતી નહીં, પરંતુ સમાજના ઉત્થાનમાં નિઃસ્વાર્થભાવે મહત્ત્વનું યોગદાન આપનારી હસ્તીઓ છે.
પ્રજાસત્તાક દિનની આગલી સાંજે પદ્મશ્રી પુરસ્કાર મેળવનારી વ્યક્તિઓનાં નામ જાહેર થયાં હતાં જેમાં જમ્મુ-કાશ્મીરના દિવ્યાંગ સામાજિક કાર્યકર જાવેદ અહેમદ ટાકનો પણ સમાવેશ થાય છે જેઓ બે દાયકા કરતાં વધુ સમયથી દિવ્યાંગ બાળકો માટે કાર્ય કરી રહ્યા છે.
દુકાળગ્રસ્ત હિવારે બઝાર પ્રદેશમાં ભૂગર્ભ જળને પુનઃ ચેતનવંતુ કરનારા અહમદનગર (મહારાષ્ટ્ર)ના પોપટરાવ પવારને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
આ ઉપરાંત સરકારે રાજસ્થાનમાં ૫૦,૦૦૦ વૃક્ષો વાવનારા ૬૮ વર્ષના પર્યાવરણવાદી સુંદરમ વર્મા તથા રાજ્યના મુસ્લિમ ભજન ગાયક મુન્ના માસ્ટર સહિતની વ્યક્તિઓની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરી છે.