Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના અખબાર-વિક્રેતાઓ ઉશ્કેરાયા

થાણેના અખબાર-વિક્રેતાઓ ઉશ્કેરાયા

Published : 12 June, 2025 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેપરના સ્ટૉલ તોડી પાડવાની MNSના નેતા અવિનાશ જાધવની વાતનો વિરોધ, થાણે સ્ટેશનની બહાર કર્યું પ્રદર્શન

ગઈ કાલે થાણે રેલવે-સ્ટેશનની બહાર ભેગા થયેલા મહારાષ્ટ્ર સ્ટેટ ન્યુઝપેપર સેલર્સ અસોસિએશન અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રતિનિધિઓ.

ગઈ કાલે થાણે રેલવે-સ્ટેશનની બહાર ભેગા થયેલા મહારાષ્ટ્ર સ્ટેટ ન્યુઝપેપર સેલર્સ અસોસિએશન અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રતિનિધિઓ.


સોમવારે મુંબ્રામાં ટ્રેન-અકસ્માત બાદ મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અવિનાશ જાધવે થાણે રેલવે-સ્ટેશનના પરિસરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન અવિનાશ જાધવે રેલવે-સ્ટેશન પરથી અખબાર-વિક્રેતાઓના સ્ટૉલ ઉખેડી નાખવાની વાત પણ કરી હતી. આ નિવેદન સામે ઉશ્કેરાયેલા અખબાર વિક્રેતા સંગઠનના ૧૦૦થી વધારે પ્રતિનિધિઓએ ગઈ કાલે બપોરે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે થાણે સ્ટેશનની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. અવિનાશ જાધવે આપેલું નિવેદન પાછું લેવું જ પડશે એવી ચેતવણી મહારાષ્ટ્ર રાજ્ય અખબાર વિક્રેતા સંગઠનના પ્રતિનિધિઓ અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશને આપી હતી.


થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રમુખ દત્તા ઘાડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુઝપેપરને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. અખબાર-વિક્રેતાઓ ગમે એવો તહેવાર હોય કે પછી ઉનાળો, ઠંડી અને વરસાદમાં પોતાનું કામ કરીને અખબારો વાચકો સુધી પહોંચાડતા હોય છે. સોમવારે મુંબ્રા રેલવે-સ્ટેશન પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અખબાર-વિક્રેતાઓ પીડિતો અને ઘાયલ મુસાફરો પ્રત્યે સંવેદનશીલ છે. જોકે રેલવે-સ્ટેશન પરના અખબારના સ્ટૉલ ઉખેડી નાખવા માટે આ અકસ્માત સામેના વિરોધ-આંદોલનમાં MNSના નેતા અવિનાશ જાધવે જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ અભદ્ર અને અવ્યવહારુ છે. કમનસીબ ટ્રેન-અકસ્માત વિશે બોલતાં અવિનાશ જાધવે કરેલા અખબારના સ્ટૉલ ઉખેડી નાખવાના નિવેદનથી તમામ અખબાર વિક્રેતાઓમાં ગુસ્સો ફેલાયો છે. અવિનાશ જાધવના નિવેદને તમામ અખબાર-વિક્રેતાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડી હતી એ માટે થાણે સ્ટેશનની બહાર અમે વિરોધ-પ્રદર્શન કરીને વિરોધ કર્યો હતો. એમાં મહારાષ્ટ્ર સ્ટેટ ન્યુઝપેપર સેલર્સ અસોસિએશન અને થાણે સિટી ન્યુઝપેપર સેલર્સ અસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થાણે રેલવે-સ્ટેશનના પરિસરમાં આવેલા ન્યુઝપેપરના સ્ટૉલ હમણાંથી નહીં પણ આઝાદી પહેલાનાં છે જે વારસાગત ચાલતા આવ્યા છે અને ચાલતા રહેશે. આ તમામ લાઇસન્સ ધરાવતા સ્ટૉલધારકો છે. અવિનાશ જાધવ તેમણે કરેલું નિવેદન પાછું લે એવી અમારી માગણી છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2025 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK