બાઇક બચાવવા જતાં જીવ ખોયો
રાકેશ હરસોરા અને તેઓ જેમાં તણાઈ ગયા હતા એ નાળું.
મંગળવાર અને બુધવારે પડેલા મુશળધાર વરસાદને કારણે મીરા રોડના અનેક રસ્તાઓ પર નદીનું સ્વરૂપ નિર્માણ થયું હતું. આ મુશળધાર વરસાદને કારણે મીરા રોડના એક ગુજરાતી પરિવારે તેમનો આધારસ્તંભ ગુમાવ્યો છે. પાણીના જોરદાર પ્રવાહમાં બે જણ ડૂબ્યા હતા અને એમાંથી એકને બચાવવામાં લોકોને સફળતા મળી હતી, પરંતુ લુહાર સુથાર જ્ઞાતિના ૪૭ વર્ષના રાકેશ ધીરજલાલ હરસોરાએ જીવ ગુમાવ્યો હતો. રાકેશભાઈની ડેડ બૉડી લગભગ એક કિલોમીટર દૂરના અંતરેથી મળી હતી. ગઈ કાલે તેમની પત્નીનો જન્મદિવસ હતો. પરિવારે તાત્કાલિક મદદ કરવામાં આવે એવી માગણી પણ કરી છે.
આ દુર્ઘટનાના કારણભૂત સંબંધિત તમામ અધિકારી, કર્મચારી અને કૉન્ટ્રૅક્ટર પર કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવાની માગણી મેયરે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને કરી છે.
મુશળધાર પડેલા વરસાદને કારણે મીરા રોડના અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા હતા. જોકે મીરા ગાવઠણ વિસ્તારમાં તો નદીનું સ્વરૂપ જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ રોડ પર મહાજનવાડીમાં આવેલી ગાયત્રી સોસાયટીના બે સભ્યો બુધવારે પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. એ બન્નેને તણાતા જોઈને લોકોએ તેમને બચાવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ એમાંથી એકને જ બચાવી શક્યા હતા. રાકેશ હરસોરા પાણીના પ્રેશરને કારણે બૅલૅન્સ ગુમાવી બેસતાં તણાઈ ગયા હતા અને અન્ય વ્યક્તિ જખમી થઈ હતી. રાકેશને પાણીમાં વહી જતા જોઈને લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
આ બનાવને કારણે પરિવારે તેમનો આધારસ્તંભ ગુમાવ્યો છે એવું રાકેશ હરસોરાના સાળા જયેશ ચિત્રોડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃત્યુ પામનાર વ્યક્તિ નાળા પાસે ઊભી રાખેલી તેની બાઇક લેવા ગયો હતો અને એ વખતે જોરદાર વરસાદ પડી રહ્યો હતો એને કારણે આ બનાવ બન્યો હતો. કૉન્ટ્રૅક્ટરને તાત્કાલિક સૂચના આપીને દીવાલ બનાવવાનું અને મૃતકના પરિવારજનોને ભરપાઈ કરવાનું જણાવ્યું છે તેમ જ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને કૉન્ટ્રૅક્ટર સામે કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર કમિશનરને આપ્યો છે.’
પાણીનો કરન્ટ કેમ વધુ હતો?
આ વિસ્તારમાં પાણી ભરાવાનું કારણ એ છે કે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નૅશનલ પાર્ક)ના ડુંગર પરથી આવતું પાણી મીરા ગાવઠણના નાળામાં આવે છે. આ નાળા પર અનેક ગેરકાયદે બાંધકામ થયેલાં છે અને એને કારણે નાળાની પહોળાઈ ઓછી થઈ ગઈ છે. ૨૦૦૫માં ૨૬ જુલાઈએ આ વિસ્તારમાં ગેરકાયદે ચાલીઓ વહી જતાં એમાં પાંચ જણ ડૂબીને મૃત્યુ પામ્યા હતા. હાલમાં પણ બાંધકામ વધી ગયું છે એને કારણે એવી જપરિસ્થિતિ ફરી નિર્માણ થઈ શકે એમ છે.
ADVERTISEMENT
નાળા પાસે દીવાલ બાંધવાની મંજૂરી પહેલાં જ આપી દીધી હોવાથી કૉન્ટ્રૅક્ટરે એનું કામ પણ શરૂ કરી દીધું હતું અને દીવાલ અડધી બંધાઈ પણ ગઈ હતી. જોકે લૉકડાઉનને કારણે કામ પૂરું થયું નહોતું અને વરસાદને કારણે પાણીનું પ્રેશર આવતાં અડધી બનાવેલી દીવાલ પણ તૂટી ગઈ.
- જ્યોત્સ્ના હસનાળે, મેયર