જસ્ટિસ એસ. ગંગાપુરવાલા અને જસ્ટિસ આર. એન. લદ્દાખની ખંડપીઠ સમક્ષ બુધવારે પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી
ફાઇલ તસવીર
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને તેમના પરિવાર વિરુદ્ધ બેહિસાબી સંપત્તિનો આરોપ લગાવતી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. દાદરની રહેવાસી ગૌરી ભીડે અને તેના પિતા અભય ભીડેએ આ અરજી દાખલ કરી છે અને જસ્ટિસ એસ. ગંગાપુરવાલા અને જસ્ટિસ આર. એન. લદ્દાખની ખંડપીઠ સમક્ષ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઠાકરેની આવક અને તેમની સંપત્તિનો તાળો મળતો ન હોવાથી અરજીમાં સીબીઆઈ અને ઈડી દ્વારા આ મામલાની તપાસની માગ કરવામાં આવી હતી.
જસ્ટિસ એસ. ગંગાપુરવાલા અને જસ્ટિસ આર. એન. લદ્દાખની ખંડપીઠ સમક્ષ બુધવારે પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગૌરી ભિડેની અરજી સ્વીકારવા માટે કોઈ વકીલ તૈયાર ન હોવાથી તે કોર્ટમાં દલીલ માટે ઊભી રહ્યા હતા. જો કે, હાઈકોર્ટ કચેરીએ તેમની અરજી પર કેટલાક વાંધાઓ ઉઠાવ્યા હોવાથી, કોર્ટે તેમને દૂર કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ મામલે સુનાવણી 16 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. ઠાકરેની આવક અને સંપત્તિનો તાળો ન મળતો હોવાથી અરજીમાં સીબીઆઈ અને ઈડી દ્વારા આ મામલાની તપાસની માગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેની સંપત્તિ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ દ્વારા એકઠી કરાયેલી બિનહિસાબી સંપત્તિ છે. તેની સામે તેઓએ 11 જુલાઈ 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઠાકરેના ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગના પુરાવા હોવા છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાનો આક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય નાણાં મંત્રાલય, સીબીઆઈ, મુંબઈ પોલીસ કમિશનર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, રશ્મિ ઠાકરે અને તેજસ ઠાકરેને આમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
અરજીમાં આ તમામે ભારતીય બંધારણ, IPC, CrPC, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે, આદિત્ય ઠાકરે તેમની કેબિનેટમાં મહત્વપૂર્ણ પ્રધાન હતા. તેથી, લોકોના પ્રતિનિધિ તરીકે, તેમને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને IPCની કલમ 21 લાગુ પડે છે. તે સિવાય લોકપ્રતિનિધિત્વ અધિનિયમ પણ લાગુ પડે છે. આ સિવાય પ્રતિવાદી નંબર 7 અને 8 રશ્મિ ઠાકરે, તેજસ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના ખૂબ નજીકના સગા હોવાથી તેમની પણ આ કાયદા મુજબ તપાસ થવી જોઈએ. એમ અરજીમાં કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કાઢી મૂકવામાં આવેલી લૅબ ટેક્નિશ્યન નીકળી કરોડના દાગીનાની ચોરીની માસ્ટરમાઇન્ડ