જીવતા માણસને પ્લાસ્ટિકમાં વીંટાળીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હોય એવી વાઇરલ વિડિયો ક્લિપ સંબંધે તપાસ કરવા બાંદરા પોલીસે સાઇબર સેલની મદદ મેળવી વિડિયોની તારીખ અને સમય ઉપરાંત એની અન્ય વિગતો મેળવવાની કોશિશ કરી રહી છે.
વિડિયોમાંથી એક સ્ક્રીન-શૉટ જેણે આક્રોશ ફેલાવ્યો.
જીવતા માણસને પ્લાસ્ટિકમાં વીંટાળીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હોય એવી વાઇરલ વિડિયો ક્લિપ સંબંધે તપાસ કરવા બાંદરા પોલીસે સાઇબર સેલની મદદ મેળવી વિડિયોની તારીખ અને સમય ઉપરાંત એની અન્ય વિગતો મેળવવાની કોશિશ કરી રહી છે.
આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજેપીના પ્રવક્તા સુરેશ નખુઆએ ૨૦ એપ્રિલે બીએમસીની બેજવાબદાર કાર્યપદ્ધતિનો આક્ષેપ કર્યો હતો. જોકે તેઓ આ ક્લિપ વિશે વધુ વિગતો પૂરી પાડી શક્યા નહોતા. પરિણામે પાલિકાએ શહેરમાં ભયની લાગણી ફેલાવવાના આરોપસર તેમની સામે કેસ દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે આ વિડિયો ક્લિપ વિશે વધુ જાણકારી મેળવવા પોતાનાં ચક્રો ગતિમાન કર્યાં છે એવામાં ચેમ્બુરના રહેવાસી બિજય ગુપ્તા આગળ આવ્યા છે. તેમનો દાવો છે કે આ વિડિયોમાં દેખાય છે તે વ્યક્તિ તેમના પિતા છે. બિજયે દાવો કર્યો છે કે ૭૦ વર્ષના તેમના પિતાને એક વર્ષ પહેલાં કોવિડ થયો હતો અને ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
બિજયે જણાવ્યા મુજબ તેમના પિતા રામશરન ગુપ્તાને ૨૦૨૦ની ૨૪ જૂને ન્યુમોનિયાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓ કોવિડ-૧૯ પૉઝિટિવ જાહેર થયા બાદ તેમને પાલિકાની બાંદરાસ્થિત ભાભા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ બાદ હૉસ્પિટલમાંથી તેમના પિતાના મૃત્યુના સમાચાર સાથે તેમને સાંતાક્રુઝ (પશ્ચિમ)ના સ્મશાનગૃહમાં બોલાવાયા હતા. બિજયનું કહેવું છે કે તેમના પિતાનો શારીરિક બાંધો મૃતદેહને મળતો આવતો ન હોવાથી તેમને તે મૃતદેહ પિતાનો હોવા અંગે શંકા હતી, પરંતુ ચહેરો જોવાની પરવાનગી ન હોવાથી તે આ બાબતની ખાતરી કરી શક્યા નહોતા.
બિજયે આ વિષય પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં આ મૃતદેહના વિડિયો વિશે બાંદરા પોલીસને પત્ર લખ્યો હતો તથા ચાર દિવસ પહેલાં બાંદરા પોલીસ-સ્ટેશનની મુલાકાત લીધી હતી. જોકે તેમણે વિગતો આપવાનો ઇનકાર કરતાં એમ જણાવ્યું હતું કે આ કેસની વિગતો પર પ્રકાશ પાડવા સાઇબર સેલની મદદ મેળવવામાં આવી છે.’