મંગલ પ્રભાત લોઢા અને કેટલાક જૈન શ્રાવકોની મદદથી વરસાદથી બચવા માટે પ્લાસ્ટિક બાંધી શકાયું છે
જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સંતાનોના ચકલા સ્ટ્રીટમાં આવેલા ગાંધી ભવનમાં આગ લાગ્યાના એક મહિના બાદની સ્થિતિ. પ્રકાશ બાંભરોલિયા
દક્ષિણ મુંબઈના ભીંડીબજારની ચકલા સ્ટ્રીટમાં કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગના ચોથા માળે રહેતાં એક સમયના જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સિનિયર સિટિઝન સંતાનોના ઘરમાં લાગેલી આગને એક મહિનો થયો છે. આ આગમાં ઘર અને અંદરનો સામાન બળીને ખાખ થઈ ગયાં હતાં અને એમાં રહેતી ચાર વ્યક્તિઓ બેઘર થઈ ગઈ હતી. આ જાણ થયા બાદ મહારાષ્ટ્ર રાજ્યના કૅબિનેટ પ્રધાન અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢા સહિતના જૈનોએ કેટલીક મદદ કરી હતી જેથી ઘરની છત પર પ્લાસ્ટિક અને બામ્બુ બાંધવામાં આવ્યાં છે, પણ આગમાં ખાખ થઈ ગયેલો સામાન ઉતારવામાં આર્થિક મુશ્કેલીને લીધે મોડું થઈ રહ્યું છે. આથી આગની ઘટનાના એક મહિના બાદ પણ સિનિયર સિટિઝન ભાઈ-બહેનો ધર્મશાળામાં રાત વિતાવે છે અને તેમણે દિવસ રસ્તા પર ગુજારવો પડી રહ્યો છે. ઘર ફરીથી બાંધવા માટે ૧૦થી ૧૫ લાખ રૂપિયાની જરૂર છે, પરંતુ પોતાની પાસે હતું એ બધું આગમાં ખાખ થઈ ગયું છે એટલે મુશ્કેલી થઈ રહી છે.