વાનખેડે સ્ટેડિયમમાં કોરોના ક્વૉરન્ટીન સેન્ટર ઊભું કરવામાં આવશે
ફાઇલ ફોટો
કોરોના સામેની લડતમાં ભવિષ્યની રણનીતિના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશનને વાનખેડે સ્ટેડિયમ તેમને હૅન્ડઓવર કરવા જણાવ્યું હતું. પાલિકા વાનખેડે સ્ટેડિયમમાં કોરોના ક્વૉરન્ટીન સેન્ટરની સુવિધા ઊભી કરવા માગે છે. સાઉથ મુંબઈમાં કોરોનાના દરદીનો આંકડો જે રીતે વધી રહ્યો છે એ જોતાં વાનખેડે સ્ટેડિયમમાં ક્વૉરન્ટીન સેન્ટર ઊભું કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતનો પત્ર પાલિકાએ વાનખેડે સ્ટેડિયમના સંચાલકોને આપ્યો હતો.
આ એ જ વાનખેડે સ્ટેડિયમ છે જ્યાં ૨૦૧૧માં વર્લ્ડ કપનું આયોજન થયું હતું અને ભારતની યજમાન ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને એ કપ જીતી લીધો હતો. કોરોના સામેના જંગમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશને ૫૦ લાખ રૂપિયા ચીફ મિનિસ્ટર્સ ફન્ડમાં દાન આપ્યા હતા. જ્યારે ક્રિકેટ બોર્ડ મારફત તેમણે ૫૦ લાખ રૂપિયા પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં દાનમાં આપ્યા હતા. પાલિકાએ હાલ એમના હૉસ્પિટલ બેડનું મોટા પાયે નિર્જંતુકીકરણ કરવાનું નક્કી કર્યું છે. આજે જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગોરેગામ (ઈસ્ટ)ના એનએસઈ કૉમ્પ્લેક્સમાં બનાવાયેલા ૧૦૦૦ બેડ ધરાવતા ક્વૉરન્ટીન સેન્ટરની મુલાકાત લઈ એનું નિરીક્ષણ કર્યું હતું.