જો શારીરિક સંબંધ ઈવન તિથિમાં બાંધે તો છોકરો, ઓડ તિથિમાં બાંધે તો છોકરી
પ્રતીકાત્મક તસવીર
પ્રખ્યાત કીર્તનકાર નિવૃત્તિ મહારાજ ઈંદોરીકરે સંતાનના જન્મ માટે ઓડ-ઈવનનું વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ઈંદોરીકરે કરેલા નિવેદનને કારણે તેઓને નોટિસ મોકલવામાં આવી છે. અહેમદનગરની પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નટાલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ (પીસીપીએનડીટી) સમિતિએ તેમને નોટિસ મોકલાવી છે. ઈંદોરીકર મહારાજે ઓઝર ખાતે પોતાના નિવેદનમાં દંપતી શારીરિક સંબંધ જો ઇવન તિથિમાં બાંધે તો છોકરો અને ઓડ તિથિમાં બાંધે તો છોકરી થાય, એવું નિવેદન કર્યું હતું.
ઈંદોરીકરે કરેલું નિવેદન ગર્ભલિંગ નિદાન પસંદગીની જાહેરાત હોઈ પીસીપીએનડીટી કાયદાની કલમ ૨૨નું ઉલ્લંઘન હોવાનો આરોપ સમિતિના સભ્યએ કર્યો હતો. તે અનુસાર પીસીપીએનડીટી સલાહકાર સમિતિએ નિવૃત્તિ મહારાજ ઈંદોરીકરને નોટિસ મોકલાવીને ખુલાસો માગ્યો હતો. આટલું જ નહીં આ નોટિસ મોકલાવ્યા બાદ જો પુરાવો મળશે તો ઈંદોરીકર મહારાજ પર ગુનો પણ દાખલ કરવામાં આવશે. નિવૃત્તિ મહારાજ ઈંદોરીકરે અત્યાર સુધી પોતાના કીર્તનના માધ્યમથી સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં જ્વલંત વિષય પર કીર્તન કરીને અનેકોનાં મન જીત્યાં છે. જોકે ગર્ભલિંગ નિદાન બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ઈંદોરીકર હવે કદાચ કાયદાની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે.