આઝાદ મેદાનમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ ભેગા થઈને દર્શાવ્યો વિરોધ
આઝાદ મેદાન
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ દર્શાવવા AAPના કાર્યકરો અને નેતાઓએ દેશ-વિદેશ સહિત મુંબઈમાં પણ ગઈ કાલે એક દિવસનો ઉપવાસ કર્યો હતો. આ ઉપવાસ વખતે AAPના સભ્યો વિરોધ દર્શાવવા આઝાદ મેદાન ખાતે એકત્રિત થયા હતા.
મહારાષ્ટ્રમાં પુણે અને અન્ય શહેરોમાં જાહેર સ્થળોએ AAPના સભ્યોએ દિવસભર વિરોધ નોંધાવ્યો હતો. પુણે જેવાં શહેરોમાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસ અને શિવસેના (UBT)ના અમુક નેતાઓ પણ AAPના વિરોધમાં જોડાયા હતા. દિલ્હીમાં AAPના ટોચના નેતાઓ જતરમંતર ખાતે દિવસભરના ઉપવાસ માટે એકત્રિત થયા હતા. દેશનાં અન્ય રાજ્યોમાં તેમ જ વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ આ જ પ્રકારે વિરોધ દર્શાવાયો હતો. બૉસ્ટનમાં હાર્વર્ડ સ્ક્વેર, લૉસ ઍન્જલસમાં હૉલીવુડ સાઇન, વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસીની બહાર, ન્યુ યૉર્ક ટાઇમ્સ સ્ક્વેર ઉપરાંત ટૉરોન્ટો, લંડન અને મેલબર્નમાં પણ વિરોધ દર્શાવાયો હતો. અરવિંદ કેજરીવાલ ૧૫ એપ્રિલ સુધી જુડિશ્યલ કસ્ટડીમાં છે.