યુએનમાં ઈરાનના રાજદૂત સુલેમાનીની હત્યા યુદ્ધનું કૃત્ય
ગઈ કાલે બગદાદમાં સુલેમાનીની અંતિમયાત્રામાં લાખો નાગરિકો ઊમટી આવ્યા હતા. (તસવીર : પી.ટી.આઇ.)
બગદાદમાં યુએસ ડ્રોન હુમલામાં ઈરાનની સેનાના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયા બાદ શનિવારે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિ દરમિયાન બગદાદના માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો કાળાં કપડાં પહેરીને સુલેમાનીની અંતિમ સફરમાં જોડાયા હતા. જનરલ સુલેમાની કુદ્સ સેનાનો સૌથી ટોચનો વડો હતો તેમ જ ઈરાન ક્ષેત્રની સુરક્ષાનો મુખ્ય રણનીતિકાર પણ હતો. તેના મોતને પગલે તેની અંતિમ સફરમાં હજારો લોકો કાળાં કપડાંમાં માર્ગો પર જોવા મળ્યા હતા. કેટલાકના હાથમાં ઈરાનના ઝંડા પણ જોવા મળ્યા હતા. કેટલાક લોકો ઈરાન સમર્થિત જૂથોના ઝંડા પણ લહેરાવતા નજરે પડ્યા હતા.
યુએસએ શુક્રવારે ઇરાકના પાટનગર બગદાદમાં ઍરપોર્ટ નજીક એક કારને નિશાન બનાવીને કરેલા ડ્રોન હુમલામાં સુલેમાની તેમ જ ડેપ્યુટી વડાનું પણ મોત થયું હતું. ઈરાને યુએસના આ હુમલાનો જબડાતોડ જવાબ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બન્ને દેશો વચ્ચે ફરી ઘર્ષણ થતાં વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે કુદ્દસ સેનાના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની યુએસ દ્વારા હુમલામાં કરાયેલી હત્યાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. ઈરાનના રાજદૂત માજિદ તખ્ત રવાંચીએ જણાવ્યું કે ‘અમેરિકા તરફથી આ ઈરાનના લોકો વિરુદ્ધ યુદ્ધનું કૃત્ય જ છે. ગઈ રાત્રે તેઓએ (યુએસએ) લશ્કરી યુદ્ધ છેડીને અમારા દેશના ટોચના સૈન્ય વડાની હત્યા કરી છે. આ કૃત્ય બદલ ઈરાન પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ? અમે શાંત રહી શકીએ નહીં. અમારે જવાબ આપવો જોઈએ અને અમે આપીશું.
ADVERTISEMENT
સુલેમાનીના જનાઝામાં ઊમટ્યો મહેરામણ : ઈરાનના લશ્કરી મેજર જનરલ અને પ્રાદેશિક સુરક્ષાના પ્રખર વ્યૂહકાર કાસીમ સુલેમાનીને ઇરાકની રાજધાની બગદાદના ઍરપોર્ટના કાર્ગો એરિયામાં ડ્રોન-અટૅકમાં અમેરિકાએ ખતમ કર્યાની ઘટનાના ઈરાન અને ઇરાક સહિત વિશ્વના અનેક દેશોમાં પ્રત્યાઘાત પડ્યા છે.