ભારત સાથે કોઈ પણ સમયે પરમાણુ યુદ્ધ થવાની શક્યતા : ઇમરાન ખાન
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ને હટાવ્યા બાદથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત ભારતની સાથે યુદ્ધની વાત કરી છે. જોકે આ વખતે તેમણે માન્યું છે કે ભારતની સાથે પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનને હાર મળી શકે છે. ઇમરાને બન્ને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધના પણ સંકેત આપ્યા.
ઇમરાન ખાને જણાવ્યું હતું કે જો કોઈ દેશ પરંપરાગત યુદ્ધ હારે છે તો તેની પાસે બે વિકલ્પ હોય છે કાં તો એ સરેન્ડર કરે અથવા છેલ્લે સુધી આઝાદી માટે લડે. પાકિસ્તાન છેલ્લે સુધી લડશે, એથી જ્યારે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ લડશે તો એનાં પોતાનાં અલગ જ પરિણામ હશે.કતારના મીડિયા ગ્રુપને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને પોતાને શાંતિવાદી ગણાવ્યા. તેમણે જણાવ્યું હતું કે હું હંમેશાંથી યુદ્ધની વિરુદ્ધ છું. મારા મતે યુદ્ધથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં. તમે વિયેતનામની લડાઈ જોઈ લો કે પછી ઇરાકની. યુદ્ધને કારણે અન્ય સમસ્યાઓ ઈભી થઈ જાય છે જે એ સમસ્યાથી મોટી હોય છે જેના માટે યુદ્ધ થયું હતું. પાકિસ્તાન ક્યારેય પરમાણુ યુદ્ધ શરૂ નહીં કરે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આંધ્રમાં ગોદાવરીમાં નૌકા ડૂબતાં ૧૨નાં મોત : ૩૬ લાપતા
અગાઉ ઇમારન ખાને અમેરિકાના મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતની સાથે વાતચીતની શક્યતા હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ભારતની સાથે વાતચીતનો કોઈ ફાયદો નથી. તેમની સાથે વાતચીત માટે મેં તમામ પ્રયાસો કર્યા છે. હવે જ્યારે પણ હું પાછળ ફરીને જોઉં છું તો લાગે છે કે મારા વાતચીત અને શાંતિના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. હવે વાતચીત માટે કાંઈ બાકી રહ્યું નથી. બે પરમાણુ હથિયારથી સંપન્ન દેશમાં આવી સ્થિતિ વિશ્વ માટે યોગ્ય નથી.