દુષ્કર્મના કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલશે : પ્રદીપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા
રાજ્યમાં વધતા દુષ્કર્મના કેસને પગલે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સુરત, વડોદરા અને રાજકોટના દુષ્કર્મમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે ગુનાઓમાં આરોપીઓ ઝડપાયા નથી તેમને ઝડપવા માટે કામગીરી ચાલી રહી છે. વડોદરાના કિસ્સામાં ૨૫ જુદી-જુદી ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણેય ઘટનામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગને કામે લગાડ્યા છે. ત્રણેય કેસમાં સ્પેશ્યલ પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવશે. ત્રણેય કેસોની ચાર્જશીટ ઝડપથી થાય અને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલશે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
ADVERTISEMENT
ગૃહરાજ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કન્વિક્શન મહત્તમ રહે એટલે કે ફાંસીની સજા થાય એવા પ્રયાસો કરીશું. બળાત્કારનો ભોગ બનેલી દીકરીઓને વિક્ટિમ કમ્પેન્સેશન ઍક્ટ હેઠળ આર્થિક સહાય મળી રહે એની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. સરકારે સંપૂર્ણ સંવેદના સાથે ગુજરાતની એક પણ દીકરી સાથે આવી ઘટના ન બને એ માટે તમામ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ૧૮૧ અભયમ ટીમને પણ આ માટે સચેત કરવામાં આવી છે. અવાવરુ સ્થાને પૅટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ગુડ ટચ તથા બૅડ ટચ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જનજાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત કોઈ પણ પરિવારમાં શોષણનાં કૃત્ય થતાં હશે તો મારી અપીલ છે કે પોલીસના ધ્યાનમાં લાવવામાં આવશે તો અમે ચોક્કસ તાત્કાલિક અસરથી પગલાં લઈશું. નાની દીકરીઓ પરના બળાત્કારનો ઍમેન્ડમેન્ટ ઍક્ટ લવાયો છે. સુરતના અઠવા લાઇન અને ડિંડોલીના આરોપીઓને અનુક્રમે ૨૦ વર્ષ અને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા અપાવવામાં સફળ રહ્યા. ડિંડોલી બળાત્કારના આરોપીને ફાંસીની સજા અપાવી છે. આ તમામ કેસમાં રાજ્ય સરકારે કોર્ટની મદદથી તપાસ ઝડપી કરીને તેમને મહત્તમ સજા મળે એવા પ્રયાસો કર્યા છે.