50 લાખ લોકોને રોજગાર આપે છે જ્વેલરી ઉદ્યોગ : સુરેશ પ્રભુ
સુરેશ પ્રભુ
દેશની અર્થવ્યવસ્થામાં ભારતીય ઘરેણાં ઉદ્યોગ મહત્વની ભૂમિકામાં છે એમ જણાવતાં સુરેશ પ્રભુએ ગઈ કાલે ઇન્ડિયા જ્વેલરી પાર્કના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે ‘સફળ રાષ્ટ્રીય ઉત્પાદનના ક્ષેત્રે આ ઉદ્યોગમાં ખરીદી ૭ ટકા અને વેચાણ ૧૪ ટકા હોવાથી ૫૦ લાખ કારીગરોને અહીં રોજગાર મળે છે. આ ક્ષેત્રમાં નવા વિચારો આવે, વિશ્વનાં બજારોના પુરવઠામાં હેલ્ધી વાતાવરણ તૈયાર થાય એવા પ્રયાસો કરવાનું આવશ્યક છે.’
કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ અને નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા ગઈ કાલે નવી મુંબઈ ખાતે દેશના સૌથી પહેલાં જ્વેલરી પાર્કનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
જ્વેલરી બિઝનેસ હાલમાં ૪૨ અબજ ડૉલરના નિકાસથી ૨૦૨૫ સુધીમાં ૭૫ અબજ ડોલરનો લક્ષ્યાંક હાંસિલ કરશે એવું આશ્વાસન સુરેશ પ્રભુએ આપ્યું હતું.
ઇન્ડિયા જ્વેલરી પાર્ક એ દેશનો એકમાન્ય જ્વેલરી પાર્ક હોવાથી અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં, મૅન્યુફૅક્ચરિંગ યુનિટ, બિઝનેસ એરિયા, જ્વેલરી મેકર્સ માટે નિવાસસ્થાન અને વેપારને આધારભૂત સેવા ઉપલબ્ધ થશે. મુંબઈમાંથી મૂલ્યવાન રત્નો અને ઘરેણાંની ૨૮,૩૨૦.૯૮ મિલ્યન અમેરિકન ડૉલરની નિકાસ થાય છે જે દેશની કુલ નિકાસના ૬૯ ટકા જેટલી છે.
જ્વેલરી પાર્કના કારણે રાજ્યમાં જ્વેલરી બિઝનેસની કાયાપલટ થશે એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટના કારણે ત્રણ લાખ રોજગાર સર્જાશે. જેમ્સ ઍન્ડ જ્વેલરી યુનિવર્સિટીને તમામ મદદ કરવામાં આવશે તેમ જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કારીગરોને ઘરો આપવામાં આવશે.’
આ પણ વાંચો : મુંબઈ : કુર્લામાં ધોળે દિવસે હિસ્ટરીશીટરની હત્યા
ઇન્ડિયા જ્વેલરી પાર્કના ભૂમિપૂજન પ્રસંગે હાજર કેન્દ્રિય પ્રધાન સુરેશ પ્રભુ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, સુભાષ દેસાઈ અને જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનના ચેરમેન પ્રમોદકુમાર અગરવાલ.