Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય ચૂંટણીપ્રચારમાં પાકિસ્તાનની ધોલાઈ થાય છે એનાથી પાડોશીઓને પેટમાં દુખ્યું છે

ભારતીય ચૂંટણીપ્રચારમાં પાકિસ્તાનની ધોલાઈ થાય છે એનાથી પાડોશીઓને પેટમાં દુખ્યું છે

28 April, 2024 12:24 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમારું નામ લેવાનું બંધ કરો

એસ. જયશંકર

એસ. જયશંકર


ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે અનેક ભારતીય નેતાઓ તેમનાં ભાષણમાં વારંવાર પાકિસ્તાનનું નામ લઈ રહ્યા હોવાથી પાકિસ્તાન સરકારે એની સામે વિરોધ નોંધાવ્યો છે. શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે ભારતીય નેતાઓને આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાના રાજકીય લાભ માટે ભાષણોમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળી દે. 
ઇસ્લામાબાદમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ‘પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર ભારતના તમામ દાવાને નકારી દીધા છે. ભારતીય રાજનેતાઓએ ચૂંટણીમાં લાભ મેળવવાના ઉદ્દેશથી ભારતમાં સંબોધવામાં આવતી ચૂંટણીસભાઓમાં પાકિસ્તાનને ઘસડવાનું બંધ કરે.’

પાકિસ્તાની મીડિયાના કહેવા મુજબ મુમતાઝ બલુચે કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીર પર દાવો કરનારા ભારતીય નેતાઓનાં ઉત્તેજક નિવેદનોમાં વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે. વધારે પડતા રાષ્ટ્રવાદથી પ્રેરિત આવી ભડકાવનારી નિવેદનબાજી ક્ષેત્રીય શાંતિ અને સંવેદનશીલતા માટે ગંભીર ખતરો પેદા કરે છે. નેતાઓના દાવા નિરાધાર છે અને ઐતિહાસિક અથવા કાનૂની તથ્યોથી વિપરિત છે.’



પાકિસ્તાનના પ્રવક્તાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાની વેપારીઓએ ભારત સાથે વેપાર શરૂ કરવા માટે બેઉ દેશો વચ્ચે સંબંધો સુધારવાની માગણી કરી હતી. 
જોકે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ પણ અનેક વાર કહી ચૂક્યા છે કે કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીર તથા લદાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશાં રહેશે. બીજા કોઈ દેશે આ મુદ્દે ટિપ્પણી કરવાની જરૂર નથી.


રાજનાથ સિંહ અને એસ. જયશંકરનાં નિવેદન શું છે?

ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ૧૧ એપ્રિલે મધ્ય પ્રદેશની એક ચૂંટણીસભામાં કહ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ જોઈને મને લાગે છે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના લોકો પણ વિચાર કરી રહ્યા છે કે એમનો વિકાસ માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જ થઈ શકશે. પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર ભારતનો હિસ્સો હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.’ બીજી તરફ એપ્રિલ મહિનામાં જ વિદેશપ્રધાન એસ. જયશંકરે પણ કેરલાના તિરુવનંતપુરમમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર આખા ભારતનું એક જ વલણ છે, અમે એ કદી નહીં સ્વીકારીએ કે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર ભારતનો હિસ્સો નથી. ભારતમાં તમામ રાજકીય પાર્ટીઓનું પણ એક જ સ્ટૅન્ડ છે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર ભારતનો હિસ્સો છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 12:24 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK