બાળક થૅલેસેમિયા વાહક કે મેજર હોવાની શક્યતા હોય તો ગર્ભમાં જ કેટલીક ટેસ્ટ થઈ શકે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ યુગલનાં લગ્ન નક્કી થાય એટલે હું પહેલાં તેમને પૂછું કે બ્લડ-ટેસ્ટ મૅચ કરાવી કે નહીં? સામાન્ય રીતે આપણામાં કુંડળીના ૩૬ ગુણ મેળવવાની પ્રથા છે, પણ જો આવનારી પેઢી સ્વસ્થ જોઈતી હોય તો બ્લડ-ટેસ્ટ મૅચ કરાવવી બહુ જરૂરી છે એવું મને લાગે છે. આવું આજના દિવસે કહું છું એનું કારણ છે આજે થૅલેસેમિયા ડે છે. જગતમાં થૅલેસેમિયાના દરદીઓ જે ઑલરેડી છે તેમની જિંદગી એટલી સંઘર્ષભરી છે કે હવે વધુ થૅલેસેમિયાના દરદીઓ પેદા ન થાય એના પર પણ ફોકસ કરવું જરૂરી છે.
કઈ રીતે તમે આ કરી શકો એની વાત સામાન્ય ભાષામાં સમજીએ. થૅલેસેમિયા બે પ્રકારના હોય, એક મેજર અને બીજો માઇનર. થૅલેસેમિયા મેજરના દરદીઓને દર ત્રણ-ચાર અઠવાડિયે નવું લોહી ચડાવવાની જરૂર પડે છે, કેમ કે તેમના શરીરમાં રક્તકણો બનતા જ નથી. જ્યારે થૅલેસેમિયા માઇનર જેમને હોય એ આ રોગના વાહક કહેવાય. બે થૅલેસેમિયા માઇનર વ્યક્તિઓ મળે તો તેમનું સંતાન થૅલેસેમિયા મેજર બને એવા ચાન્સિસ ખૂબ વધી જાય છે. લગ્ન પહેલાં જ જો લોહીની ટેસ્ટ કરાવી લીધી હોય તો આ ચાન્સ ઘટી જાય છે. બે થૅલેસેમિયાના વાહકો લગ્ન કરી લે તો તેમને સંતાન મેળવવામાં બહુ મુશ્કેલી પડે અને તેમનું સંતાન થૅલેસેમિયા મેજર હોવાનું રિસ્ક ખૂબ ઊંચું થઈ જાય.
ADVERTISEMENT
એને બદલે જો થૅલેસેમિયા માઇનર વ્યક્તિનાં લગ્ન નૉર્મલ વ્યક્તિ સાથે થાય તો ૨૫ ટકા ચાન્સ રહે કે તેમનું સંતાન થૅલેસેમિયાનું વાહક બને. મારી ૩૦ વર્ષની પ્રૅક્ટિસમાં મેં સૌથી વધુ થૅલેસેમિયાના વાહકો કચ્છી, લોહાણા અને સિંધી સમાજના લોકોમાં જોયા છે. આ કમ્યુનિટીના લોકોએ તો ખાસ કુંડળી મેળવતાં પહેલાં બ્લડ-ટેસ્ટ મૅચ કરાવી લેવી જોઈએ. આ કમ્યુનિટીમાં સિકલ સેલ એનીમિયાની સમસ્યા પણ વધુ જોવા મળે છે. અલબત્ત, દરેક વ્યક્તિ લગ્ન પહેલાં બ્લડ-ટેસ્ટ મૅચિંગ કરાવે તો આવનારી પેઢી વધુ સ્વસ્થ હોવાના ચાન્સિસ રહે.
જોકે હવે મેડિકલ સાયન્સ એટલું ઍડ્વાન્સ થઈ ગયું છે કે બાળક થૅલેસેમિયા વાહક કે મેજર હોવાની શક્યતા હોય તો ગર્ભમાં જ કેટલીક ટેસ્ટ થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમ્યાન જો આઠ, નવ કે દસ પૉઇન્ટ જેટલું હીમોગ્લોબિન હોય તો પણ ચાલી શકે છે, પણ જો બે માઇનર લોકોનું બાળક પ્લાન થઈ રહ્યું હોય તો એમાં પણ ભ્રૂણનું જિનેટિક બંધારણ ખબર પડે એવી ટેસ્ટ હોય છે. એ માટે એમ્નિયોસિન્થેસિસ નામની ટેસ્ટ હોય છે અને કાં તો બાયોપ્સી કરવામાં આવે છે જેનાથી બાળકનું ૧૦૦ ટકા જિનેટિક બંધારણ ખબર પડે છે. એ બંધારણમાં જો ગરબડ હોય તો ડૉક્ટર અને પેરન્ટ્સ એ પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી જરૂરી છે કે નહીં એ નક્કી કરી શકશે.