જ્યારે નદી-તળાવમાં કે નળ નીચે નહાવાથી પાણીના પ્રવાહમાં જંતુઓ બચી જાય છે
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હિંસા ન કરવાનો કે ન થવા દેવાનો હેતુ સિદ્ધ નહીં થાય. સ્વચ્છ અને ચોખ્ખો, સાફસુથરો માણસ જ લોકોને ગમે છે. ગંધાતો-ગોબરો માણસ કોઈને પણ ગમતો નથી અને એમ છતાં કેટલાક માણસો હરતો-ફરતો ઉકરડો થઈ જતા હોય છે. તેમની પાસે વાત એક જ હોય - અહિંસા. શરીર પર આટલી ગંદકી ભોગવ્યા પછી પણ જંતુઓનો નાશ તો તેઓ રોકી શકતા જ નથી. દાતણ-સ્નાન જેવી સામાન્ય ક્રિયા કરવાથી ધારો કે કદાચ પણ જંતુઓની હિંસા થતી હોય તો પણ પરવા કર્યા વિના ચોખ્ખા તો રહેવું જ જોઈએ.
કપડું ઘસી-ઘસીને થોડા પાણીથી ચોખ્ખાઈ મેળવવાથી વધુ જીવો મરે છે, કારણ કે વસ્ત્રના ઘર્ષણથી સૂક્ષ્મ જીવો મરી જાય છે; જ્યારે નદી-તળાવમાં કે નળ નીચે નહાવાથી પાણીના પ્રવાહમાં જંતુઓ બચી જાય છે. આવા સ્નાનમાં ખાસ કંઈ ઘર્ષણ જન્મતું નથી એટલે તુલનાત્મક રીતે ઓછા જીવાણુઓ મરે છે. એમ છતાં જ્યાં પાણીનો અભાવ હોય કે અતિશય ઠંડી હોય ત્યાં પૂર્ણ સ્નાનની જગ્યાએ આવું પંચસ્નાન કરીને ચલાવવું જોઈએ. જોકે સાથોસાથ એ પણ સમજવું જોઈએ કે એમાં હિંસા-અહિંસાનો પ્રશ્ન કે મુદ્દો નથી, પણ પરિસ્થિતિ અને સંજોગોનો પ્રશ્ન છે. અમેરિકાના અમુક ભાગોમાં અત્યારે એવી હાડગાળ ઠંડી પડે છે કે તમે નાહવાનું તો શું, શરીરે પાણી લગાવવાનું પણ વિચારી ન શકો. આવા સંજોગોની વાત જુદી છે. બાકી નિયમિત સ્નાન ઇત્યાદિ પ્રક્રિયા કરવી જ જોઈએ. આવી નિત્ય ક્રિયાઓને કારણે જ માણસનો સામાજિક પ્રાણીમાં પ્રવેશ થયો છે.
ADVERTISEMENT
જળમાં જીવાણુઓના અતિરેકભર્યા સતત પ્રચારથી ભારતમાં સમર્થ લોકોનું દાન કૂવા-તળાવ, ચેકડૅમ, બંધો કે પરબો તરફ ન વળ્યું એટલે પ્રજાને પાણીના પ્રશ્નો ઉકેલવામાં મુશ્કેલીઓ આવી. જો સમર્થ લોકોનું દાન કૂવા રીચાર્જ કરવા, નવા કૂવા કરવા, તળાવો ઊંડાં કરવાં, ચેકડૅમો બાંધવા, મોટી-મોટી નદીઓના સમુદ્રમાં વહી જતા અપાર જળરાશિને મોટા બંધો બાંધીને રોકવા વગેરેમાં તથા બીજી રીતે જળનો સદુપયોગ કરવામાં થયું હોત તો આ દેશની પ્રજા અને પશુઓ તરસે મરતાં ન હોત. નકારાત્મક ચિંતન કેટલી મોટી હાનિ પહોંચાડી શકે છે એનું આ જીવંત પ્રમાણ છે. સમય આવી ગયો છે વિજ્ઞાનનો સ્વીકાર કરવાનો અને એના રસ્તે આગળ વધવાનો. અહિંસા અનિવાર્ય છે, પણ એને ફરજ પાડવી એ પાપ છે. એટલે સૌથી પહેલાં આવું કરનારાઓએ સુધરવું પડશે અને એ પછી તેમણે આ સંદેશો જેટલા લોકોને આપ્યો છે એ સૌએ સમજવું અને સુધરવું પડશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)