SSR કેસ: ઓટોપ્સીની ફાઈલોની તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાઈ
શુક્રવારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં CBIના ઓફિસરો (તસવીર: સમીર માર્કન્ડે)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં ગત બુધવારે એટલે કે 19 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તપાસનો આદેશ આપ્યા બાદ હવે CBIની ટીમે તપાસ હાથ ધરી દીધી છે. મુંબઈમાં આજે CBI ટીમનો બીજો દિવસ છે. ટીમ આજે સુશાંતના સાંતાક્રુઝ સ્થિત ગેસ્ટ હાઉસે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. સાથે ફોરેન્સિક ટીમ પણ ગેસ્ટ હાઉસ પહોંચી છે. આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલા ઘણા લોકોની પણ પૂછપરછ કરી શકે છે. જેમાં સુશાંતના ઘરે કામ કરનારા દીપેશ સાવંત અને કેશવ નામ પણ સામેલ છે. CBI આ કેસના મહત્વના સાક્ષી સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની ની પણ આજે અથવા આવતીકાલે પૂછપરછ કરી શકે છે.
એઈમ્સે સુશાંત સિંહ રાજપૂતના કેસની ઓટોપ્સીની ફાઈલોની તપાસ માટે શુક્રવારે ફોરેન્સિક નિષ્ણાતની પાંચ સભ્યોની મેડિકલ ટીમ બનાવી છે. CBIએ આ કેસમાં શુક્રવારે એઈમ્સનો મત પૂછ્યો હતો. એઈમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડો.સુધીર ગુપ્તા આ ટીમને લીડ કરશે. તેમણે જણાવ્યું કે, અમે હત્યાની આશંકાને જોઈશું. તમામ સંભવિત એન્ગલથી ઊંડાણપૂર્વક તપાસ કરીશું. વિસરાની તપાસ કરાશે. અભિનેતાને તણાવ દૂર કરવા માટેની જે દવા આપવામાં આવી રહી હતી, તેની પણ એઈમ્સની લેબમાં તપાસ કરાશે.
ADVERTISEMENT
શુક્રવારે CBIની એક ટીમે સુશાંત સિંહ રાજપૂતના કુક નીરજ સિંહની પૂછપરછ કરી છે. નીરજનું 40 પાનનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નીરજ સવારે લગભગ 9 વાગ્યે ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો હતો, જ્યાં CBIની ટીમ રોકાયેલી છે. CBIએ નીરજને પુછ્યું કે, સુશાંતના મૃત્યુ એટલે કે 14 જૂન પહેલા એના થોડાક સમય પહેલા સુશાંતનું વર્તન કેવું હતું? શું વર્તન પહેલા કરતા બદલાયું હતું? આટલું જ નહીં રિયા ચક્રવર્તીના રોલ અંગે પણ CBIએ પૂછપરછ કરી હતી.