૧૭ પૈકી ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂનાં કમર્શિયલ વાહનોને સ્ક્રૅપમાં મોકલવાથી નવાં વાહનોના રજિસ્ટ્રેશન વખતે રોડ ટૅક્સમાં ૧૫ ટકાની છૂટ મળે છે
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારે ૧૫ વર્ષથી જૂનાં અને અનફિટ વાહનોને સ્ક્રૅપમાં મોકલી દેવાનું ફરજિયાત બનાવી દીધું છે. આના પગલે બિહાર, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને કેરલા સહિત ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જૂનું વાહન ભંગારવાડે મોકલીને એના સ્થાને નવું વાહન ખરીદનારા લોકોને વિવિધ પ્રકારની છૂટછાટો જાહેર કરી છે. ઉપરોક્ત રાજ્યોમાં જૂના વાહનના સ્થાને નવું પ્રાઇવેટ વાહન ખરીદતાં મોટર વેહિકલ કે રોડ ટૅક્સમાં ૨૫ ટકા સુધીનું કન્સેશન અને જૂના કમર્શિયલ વાહનના સ્થાને નવું કમર્શિયલ વાહન ખરીદતાં ૧૫ ટકાની છૂટછાટ અપાઈ રહી છે. અત્યાર સુધીમાં આશરે ૭૦,૦૦૦ જૂનાં વાહનોને ભંગારવાડે મોકલી દેવામાં આવ્યાં છે અને એમાં મોટા ભાગનાં વાહનો કેન્દ્ર કે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓનાં છે. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જેમાં ૧૦ વર્ષ જૂનાં ડીઝલ અને ૧૫ વર્ષ જૂનાં પેટ્રોલ વેહિકલ્સ આપોઆપ ડિ-રજિસ્ટર થઈ જાય છે અને આવાં વાહનોને ભંગારવાડે જ મોકલવાં પડે છે.
૧૭ પૈકી ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂનાં કમર્શિયલ વાહનોને સ્ક્રૅપમાં મોકલવાથી નવાં વાહનોના રજિસ્ટ્રેશન વખતે રોડ ટૅક્સમાં ૧૫ ટકાની છૂટ મળે છે. બીજી તરફ પ્રાઇવેટ વાહનોમાં ૧૨ રાજ્યો રોડ ટૅક્સમાં ૨૫ ટકા સુધીની રિબેટ આપે છે. હરિયાણા ૧૦ ટકાનું કન્સેશન અથવા સ્ક્રૅપમાં જનારા વાહનની મૂલ્યના ૫૦ ટકા સુધીની રકમનું કન્સેશન આપે છે. બીજી તરફ ઉત્તરાખંડ ૨૫ ટકા સુધી કન્સેશન અથવા ૫૦,૦૦૦ રૂપિયા એ બે પૈકી જે રકમ ઓછી હોય એટલી છૂટ આપે છે. કર્ણાટક ૨૦ લાખ રૂપિયાની કિંમત સુધીનાં વાહનો માટે ૫૦,૦૦૦ રૂપિયા સુધીની રિબેટ રોડ ટૅક્સમાં આપે છે. પૉન્ડિચેરી રોડ ટૅક્સમાં ૨૫ ટકાની છૂટ અથવા ૧૧,૦૦૦ રૂપિયા પૈકી જે ઓછું હોય એટલી છૂટ આપે છે.