આઝાદી સે પહલે, આઝાદી કે બાદ. ભારત દેશના વ્યાપાર અને ઔદ્યોગિકીકરણના ઇતિહાસમાં ડોકિયું કરીશું તો જાણવા મળશે કે સવાયા ભારતીય એવા પારસીઓએ વર્ષોવર્ષથી આ બન્ને ક્ષેત્રે જબરદસ્ત યોગદાન આપ્યું છે, પછી એ તાતા હોય કે ગોદરેજ હોય કે દસ્તુર.
અરદેશીર ગોદરેજ, પીરોજશા ગોદરેજ
આ એ સમયની વાત છે જ્યારે મુંબઈ મુંબઈ નહીં, બૉમ્બે તરીકે ઓળખાતું હતું. સાલ હતી ૧૯૪૪ની, જ્યારે બૉમ્બેની એક રહેણાક વસ્તીનાં અનેક ઘરો આગની ચપેટમાં આવી જાય છે. સ્વાભાવિક છે ઘર, સામાન, કપડાં વગેરે બધું જ છોડીને જીવ બચાવવા માટે ભાગવું જ પડે. એ વસ્તીમાં રહેતો એક પરિવાર પણ આગમાં ભડથું થઈ રહેલા ઘરને છોડી ભાગ્યો. ઘરની તિજોરીમાં આખી જિંદગીની બચત, ઘરેણાં, મહત્ત્વના કાગળો બધું જ મૂક્યું હતું. જ્યારે પોતાનો જીવ જ જોખમમાં હોય ત્યારે પૈસા અને ઘરેણાંનો લોભ છોડી ભાગવું જ પડે. આગ શાંત થઈ ત્યારે બધું કહેતાં બધું જ આગમાં સ્વાહા થઈ ચૂક્યું હશે એવી નિરાશા સાથે એ પરિવાર તેમના ઘરની હાલત જોવા માટે ફરી ત્યાં પહોંચ્યો. પરંતુ આ શું? ઘરની એ તિજોરી આટલી ભયંકર આગ છતાં સહીસલામત હતી. એમાં રાખેલાં કાગળિયાંથી લઈને ઘરેણાં સહિત બધું જ એમનું એમ જળવાયેલું હતું. આગમાં પોતાનું ઘર ગુમાવી ચૂકેલા પેલા પરિવારનાં એ બધાં ઘરેણાં અને કાગળો જે તિજોરીમાં અકબંધ રહ્યાં હતાં એ તિજોરી બનાવી હતી ગોદરેજ નામની એક કંપનીએ. હા, એ જ ગોદરેજ જેણે આઝાદ ભારતની પહેલી ચૂંટણી માટે ૧૭ લાખ બૅલટ બૉક્સ બનાવ્યાં હતાં. હા, એ જ ગોદરેજ જેના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર એક જમાનામાં રવીન્દ્રનાથ ટાગોર રહી ચૂક્યા છે.