મધર્સ ડેએ અંગૂરીભાભી દીકરીને કેમ કહે છે આ શબ્દો
થૅન્ક યુ બેટા...
ઍન્ડ ટીવીના પૉપ્યુલર શો ‘ભાબીજી ઘર પર હૈં’ની અંગૂરીભાભી એટલે કે શુભાંગી અત્રેનો એક નિયમ છે, દર વર્ષે મધર્સ ડે આવે ત્યારે તે પોતાની દીકરી આશીને થૅન્ક્સ કહે. આવું કરવા પાછળ લાંબી પણ રસપ્રદ વાત છે. શુભાંગી કહે છે, ‘મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી ત્યારે મને સાથ આપવામાં મારા હસબન્ડ અને તેની સાથે બે વર્ષની આશી પણ હતી. આશી મારી દીકરીએ ક્યારેય મારી ગેરહાજરીને ઘરમાં મોટી નથી થવા દીધી. તે બહુ નાની હતી અને મારા સ્ટ્રગલના દિવસો હતા, હું ૧૫-૧૫ કલાક ઘરની બહાર હોઉં તો પણ ક્યારેય મેં એવું નથી સાંભળ્યું કે આશીએ ઘરમાં આ તોફાન કર્યાં કે પછી આશી તારી રાહ જોતી રડતી હતી. આશી મારી તાકાત બની ગઈ અને આ તાકાત વચ્ચે આશી એક સમયે મારી મા પણ બની ગઈ. હું થાકીને આવું ત્યારે તે મને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખે. જે હકીકતમાં મારે કરવાનું હોય, પણ એને બદલે આશી એ બધું કરે અને મને જમાડવા સુધીની જવાબદારી પણ તેણે ઉઠાવી છે. આજે પણ આશી વિના મને નથી ચાલતું. તે આખા ઘરનું ધ્યાન રાખે અને મને ટાઇમ-ટુ-ટાઇમ ફોન કરીને લંચ અને ડિનર માટે પૂછી પણ લે.’
આશી ટીનેજમાં છે, છતાં સમજણ જે સ્તરની છે એ જોઈને જ તેની મમ્મી દરેક મધર્સ ડેના દિવસે તેને થૅન્ક યુ કહે છે.