દ્રૌપદીના સ્વયંવર વખતે જ અર્જુને કૃષ્ણને સારથિ તરીકે પસંદ કર્યા હતા
સ્ટાર ભારતના પૉપ્યુલર શો ‘રાધાકૃષ્ણ’માં આવતા અઠવાડિયે કૃષ્ણ-અર્જુન ગાથા શરૂ થઈ રહી છે, જેમાં બે ભાઈબંધની વાતો ઉપરાંત સખા અને સલાહકારની ભૂમિકામાં કૃષ્ણ કયા સ્તરે ઉત્તમ હતા એની વાત પણ કહેવામાં આવશે, તો સાથોસાથ એવી વાતો પણ બહાર આવશે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. બધાને એ ખબર છે કે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા, પણ જૂજ લોકોને ખબર છે કે દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કર્યા પછી જ નક્કી થયું હતું કે કૃષ્ણ અર્જુનના સારથિ બનશે અને તેનો રથ હંકારશે. આવી જ અનેક વાતો એવી છે જે કૃષ્ણ અને અર્જુનની દોસ્તીની છે અને એ ભાગ્યે જ કોઈ જાણે છે.
કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંબંધોમાં ગુરુત્વ હતું એની સૌકોઈને ખબર છે અને આ સંબંધોમાં કૃષ્ણ ગુરુની ભૂમિકા અદા કરે છે એ પણ સૌકોઈ જાણે છે, પણ એવું તે શું હતું કે અર્જુનને જ્યારે પણ તકલીફ પડી ત્યારે કૃષ્ણ એ સ્થળે હાજર હતા, જેનો ખુલાસો પણ ‘રાધાકૃષ્ણ’ની આ કૃષ્ણ-અર્જુન ગાથામાં જોવા મળશે.