ઍક્ટ્રેસ સોનિયા સિંહને લોકો કેમ નફરત કરતા?
સોનિયા સિંંહ
સોની ટીવીના પૌરાણિક શો ‘વિઘ્નહર્તા ગણેશ’માં સોનિયા સિંહ (‘દિલ મિલ ગયે’ ફેમ)ની એન્ટ્રી થવાની છે. શોના આગામી ટ્રૅક મુજબ ગણેશ ભગવાન ત્રણેય લોક પર કબજો મેળવવા ઇચ્છતા બે જુડવા અસુર - નરાંતક અને દેવાંતક સાથે યુદ્ધ કરવા માટે ‘વિનાયક’નો અવતાર ધારણ કરશે. ભગવાન ગણેશના આ ‘વિનાયક’ અવતારને જન્મ આપનારી માતા અદિતિનો રોલ સોનિયા સિંહ ભજવવાની છે. ‘દિલ મિલ ગયે’, ‘પરિચય’, ‘ભાભી’, ‘કુમકુમ’ જેવી પૉપ્યુલર સિરીઝ કરી ચૂકેલી સોનિયા સિંહ આમ તો ટીવીની ‘વેમ્પ’ તરીકે જાણીતી છે. જોકે ‘વિઘ્નહર્તા ગણેશ’માં તેનું પાત્ર અગાઉનાં પાત્રો કરતાં જુદું છે.
સોનિયાએ કહ્યું કે ‘મારા શાર્પ ફીચર્સને લીધે મને નેગેટિવ પાત્રો વધુ ઑફર થાય છે એટલે પહેલાં તો મને વિશ્વાસ નહોતો બેસતો કે હું ‘વિઘ્નહર્તા ગણેશ’માં સકારાત્મક પાત્ર કરવાની છું. એમાં પણ માઇથોલૉજિકલ શોનું શૂટિંગ કરવાનો અનુભવ બહુ સારો રહ્યો. આ એક ચૅલેન્જ પણ હતી કેમ કે ભારે વસ્ત્રો, ઘરેણાં પહેરવા ઉપરાંત દિવ્ય અવતાર વિશે દર્શકોમાં વિશ્વાસ જગાડવો મહત્ત્વનો છે.’
સોનિયા સિંહે જણાવ્યું કે ભૂતકાળમાં તો મારાં નકારાત્મક પાત્રોને કારણે મારાથી લોકો નફરત કરતા. મને ગાળો આપતા. મને રસ્તે અટકાવીને કહેતા કે તું કેમ આવું કરે છે?! પણ સદ્નસીબે ‘વિઘ્નહર્તા ગણેશ’માં એવું નહીં થાય! જોકે હું ખુશ છું કે મારી ઍક્ટિંગ એટલી પાવરફુલ હોય છે કે મારું પાત્ર લોકોનું ધ્યાન ખેંચે છે.’