પુન્નાગૈ મન્નનઃ 16 વર્ષની એક્ટ્રેસ સાથે કમલ હાસને કરી બળજબરી?
કમલ અને રેખા પર ફિલ્માવાયેલું દ્રશ્ય- સૌજન્ય યુટ્યૂબ
દક્ષિણ ભારતની સિનિયર અભિનેત્રી રેખા એ ગયા વર્ષે આપેલા એક ઇન્ટરવ્યુમાં કમલ હાસને તેની સાથે કરેલી બદસલુકાઇ વિષે વાત કરી હતી. જો કે આ ઇન્ટરવ્યુ ગયા વર્ષનો હોવા છતાં ચર્ચામાં છે. આ ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મ પુન્નાગૈ મન્નન વિષે વાત કરી હતી જેમાં તેણે કમલ હાસન સાથે અભિનય કર્યો હતો. આ વીડિયો ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું છે કે ફિલ્મનો સિન ચાલુ હતો અને અચાનક જ કમલ હાસને તેમે ચુંબન કરી લીધું હતું. કમલ હસન અને બાલચંદરે આ મામલે જાણે પહેલેથી જ યોજના બનાવી હતી.
ગયા વર્ષે ન્યુઝ મિનિટમાં લેવાયેલા આ ઇન્ટરવ્યુમાં રેખાએ આ અનુભવ કહ્યો હતો અને ઉમેર્યું હતું કે પોતે આ વાત અનેકવાર કરી ચુકી છે કે સિન તેને જણાવ્યા વગર શુટ થયો હતો અને એકનીએક વાત કરીને કંટાળી ચુકી છે, તેવું બૉલીવુડલાઇફ.કોમમાં નોંધાયું છે.
ADVERTISEMENT
ફિલ્મનાં સીનમાં કમલ હાસન અને રેખાનું પાત્ર આત્મહત્યા કરવા જઇ રહ્યું છે તેમ દર્શાવાયું છે અને અચાનક જ કમલ હાસન રેખાને ચુંબન કરે છે. રેખાને આ વિષે કંઇ ખબર નહોતી અને સ્ક્રિપ્ટમાં પણ આવા કોઇ સિનનો ઉલ્લેખ ન હતો. આ ઘટના અંગે બાદમાં ડિરેક્ટર બાલચંદરે કહ્યું હતું કે, "તેમાં કંઇ જ ખોટું કે અશ્લિલ નથી. અમે આ પાત્રો વચ્ચે પ્રેમ દર્શાવવા માગતા હતા." રેખાએ ફિલ્મમાં અભિનય કર્યો ત્યારે તે માત્ર 16 વર્ષની હતી અને પરીક્ષા બાદ ફિલ્મ માટે આવી હતી. તેના પિતાએ આ દ્રશ્ય જોયું હતું અને તે ભારે રોષે ભરાયા હતા. રેખાએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે આ ઘટના પછી લાંબો સમય પરેશાન અને ભયભીત રહી હતી. કમલ હાસન કે બાલાચંદરે આ ઘટના અંગે ક્યારેય રેખા સાથે કોઇ વાત ન કરી કે ન તો તેની માફી માંગી. વીડિયોમાં પોતાની વિતક જણાવી રહેલી રેખા બહુ શાંત દેખાય છે તે વિક્ષિપ્ત નથી જણાતી પણ આ વીડિયો વાયરલ થાવાથી લોકોમાં બહુ ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો ઇચ્છે છે કે કમાલ હાસને રેખાની માફી માંગવી જોઇએ.
રેખાનું કહેવું છે કે, " એ ચુંબન બેહુદું નહોતું પણ એ બહુ અચાનક થું હતું અને મને તેને વિષે નહોતી ખબર. મને યાદ છે કે બાલાચંદરે સિન શૂટ કરતા પહેલાં કમલને પુછ્યું કે, "આંખ બંધ કરી દે અને યાદ છે ને મેં શું કીધું છે." જેના જવાબમાં કમલ હાસને હા પાડી. એક બે ત્રણની ગણતરી થાય પછી અમારે પાણીમાં કુદવાનું હતું અહીં તો એક બે ત્રણ પછી અચાનક તેણે મને કિસ કરી અને પછી અમે કુદ્યા. મેં આ દ્રશ્ય સિનેમામાં જોયું ત્યારે તેનો પ્રભાવ કેટલો છે તે મને સમજાયું."
રેખાએ ઉમેર્યું કે, "દિગ્દર્શક કે અભિનેતા શા માટે માફી માંગે કારણકે તે ફિલ્મ તો હિટ હતી, વળી મને પણ તે ફિલ્મ બાદ ઘણું કામ મળ્યું હતું. મને નથી ખબર કે માફીથી કંઇ ફેર પડશે કે કેમ પણ હું એ ચોક્કસ કહીશ કે જો ત્યારે મને ચુંબન અંગે પુછાયું હોત તો મેં ના જ પાડી હોત. આ સિન અચાનક જ કરાયો અને હવે આ વાત પુરી થઇ ગઇ છે, મારે ફરી ફરી તેની ચર્ચા નથી કરવી. "