SSR કેસ: અભિનેતાના અકાઉન્ટમાંથી EDને મની લોન્ડરિંગના પુરાવા ન મળ્યા
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી હતી
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાને ચાર મહિના પુરા થવામાં છે. અત્યાર સુધી આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) કરી રહ્યાં હતાં. એક એવો સમય હતો જ્યારે આ કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં હતા. પણ હવે એવો સમય આવીને ઉભો છે જ્યાં એક પછી એક દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ હત્યાની આશંકાને નકારી હતી. હવે EDએ એક્ટરના બેન્ક ખાતામાંથી મની લોન્ડરિંગના કોઈ પુરાવા ના મળ્યા હોવાની વાત કહી છે. રિપોર્ટમાં EDના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, અભિનેતાના પરિવાર તરફથી ગેરસમજણ થઈ હોવાને કારણે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, EDના સૂત્રોએ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારને તેના ફાયનાન્સ અંગે કોઈ માહિતી નથી. આ જ કારણે સુશાંતના મોત બાદ તેના અકાઉન્ટમાં મોટી રકમની હેરાફેરી થઈ હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી હતી. EDને અભિનેતાના ખાતામાંથી મની લોન્ડરિંગ કે પછી કોઈ શંકાસ્પદ લેવડ-દેવડના પુરાવા મળ્યા નહીં. જોકે, અકાઉન્ટમાં થયેલા નાના-મોટા ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ રહી છે અને તેમાંથી તપાસ કરવામાં આવશે કે આ ટ્રાન્ઝેક્શન કોણે અને કેમ કર્યા હતા?
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે, EDને તપાસમાં ખ્યાલ આવ્યો કે સુશાંતના બેન્ક અકાઉન્ટથી 2.78 કરોડ રૂપિયા ટેક્સ (GST સહિત) ભર્યો હતો. કેટલીક નાની-મોટી રકમ હજી પણ મિસિંગ છે. તેની તપાસ કરવાનો પ્રયાસ તપાસ એજન્સી કરે છે. EDના સૂત્રોના મતે, તેમને રિયા ચક્રવર્તીના અકાઉન્ટમાં સુશાંતના અકાઉન્ટથી કોઈ મોટી રકમનું ટ્રાન્ઝેક્શન મળ્યું નથી. તપાસ એજન્સી માને છે કે બન્ને વચ્ચે નાની-મોટી લેવડદેવડ હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, 31 જુલાઈના રોજ EDએ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહની પટનામાં કરેલી FIRના આધાર પર રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક, પિતા ઈન્દ્રજીત, માતા સંધ્યા, સુશાંતનો હાઉસમેનેજર સેમ્યુઅલ મિરાન્ડા તથા મેનેજર શ્રુતિ મોદી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો. કે.કે.સિંહનો આક્ષેપ હતો કે આ તમામ આરોપીઓએ સુશાંતના બેન્ક અકાઉન્ટમાંથી 15 કરોડની હેરાફેરી કરી છે. આ મામલામાં EDએ 24 લોકોની પૂછપરછ કરી હતી.
જોકે, સુશાંત સિંહ રાજપૂતના પિતામના વકીલ વિકાસ સિંહે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, પરિવારને અભિનેતાના ફાયનાન્સ અંગે કોઈ માહિતી નથી. પરિવારે ક્યારેય તેની નાણાંકીય બાબતમાં દખલગીરી કરી નહોતી અને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. EDની તપાસ ચાલુ છે. જ્યારે આ પૂરી થઈ જશે ત્યારે જ ફાઈન્ડિંગ સામે આવશે.