આલિયા ભટ્ટને સલાહ આપતાં રણબીર કપૂરે કહ્યું...સખત મહેનતનું ફળ અચૂક મળે
મુંબઈ : (પી.ટી.આઇ.) આલિયા ભટ્ટને રણબીર કપૂરે સલાહ આપી હતી કે પરિશ્રમનું ફળ જરૂર મળે છે. તરત નહીં, પરંતુ લાંબે ગાળે એક ને એક દિવસ જરૂરથી મળે છે. આલિયાની ‘કલંક’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ હતી. આ ફિલ્મમાં આલિયાની સાથે વરુણ ધવન, માધુરી દીક્ષિત નેને, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અગત્યની ભૂમિકામાં હતાં. આ ફિલ્મને મળેલી નિષ્ફળતાને લઈને પૂછવામાં આવતાં આલિયાએ કહ્યું હતું કે ‘ખૂબ જ આશ્ચર્યની વાત છે કે મેં એ વાત સ્વીકારી લીધી હતી. મેં એક દિવસ પહેલાં જ ફિલ્મ જોઈ હતી અને મારા દિમાગમાં હતું કે શું થવાનું છે. જોકે મને ખૂબ દુ:ખ થયું હતું કે મારા દિમાગમાં એ વાત બેસાડવામાં આવી હતી કે જો તમે સખત મહેનત કરો તો એનું ફળ અચૂક મળે છે. પરંતુ આ ફિલ્મ સાથે એવું ન થયું. એનાથી મને ખૂબ ડર લાગ્યો હતો.’
જોકે રણબીર કપૂરે આપેલી સલાહ વિશે જણાવતાં આલિયાએ કહ્યું હતું કે ‘તેણે કહ્યું હતું કે તમે સખત મહેનત કરો તો એવું જરૂરી નથી કે એનું ફળ તમને તરત જ મળે. ક્યારેક ને ક્યારેક એ સારાપણું તમારી અન્ય ફિલ્મમાં જોવા મળે છે.
મારું કામ હાર્ડ વર્ક કરવાનું હોય છે. મારો ફિલ્મ પર ખૂબ વિશ્વાસ હતો. જોકે એનું પરિણામ અમારી અપેક્ષા મુજબ ન રહ્યું. થોડા દિવસો સુધી હું ખૂબ નિરાશ હતી, પરંતુ મારે મારી અન્ય ફિલ્મો પર ધ્યાન આપવાનું હતું.’