મુંબઈમાં ચોમાસાના આગમન પહેલાં પૃથ્વીરાજનો મહેલ તોડી પાડવામાં આવશે
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનનો અત્યારે ચોથો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ફિલ્મમેર્કસે ચોમાસા પહેલા શૂટિંગ શરૂ થવાની આશા છોડી દીધી છે. એટલે આગામી ફિલ્મોના સેટનું શું કરવુ તે બાબતે તેઓ નિર્ણય લઈ રહ્યાં છે. આ પાશ્ચર્વભૂમિ પર અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'નો દહિસરમાં બનાવવામાં આવેલો વિશાળ સેટ તોડી પાડવાનો નિર્ણય ફિલ્મમેર્કસે લીધો છે. બારમી સદીની આર્કિટેક્ચરલ શૈલીને ધ્યાનમાં રાખીને આખો મહેલ ઉભો કરવામાં આવ્યો હતો.
સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બહુ જલ્દી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તેવી અપેક્ષા સાથે યશરાજ ફિલ્મ્સે છેલ્લાં બે મહિનાથી ફિલ્મનો સેટ એમનેએમ રાખ્યો હતો. પરંતુ હવે ચોમાસાને ગણતરીના જ દિવસો બાકી છે અને શૂટિંગ શરૂ થાય તેવી કોઈ જ શક્યતાઓ નથી એટલે આખરે સેટ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેટ તોડી પાડવા માટે જરૂરી પરવાનગીઓ લેવાનું કામ મેર્કસ કરી રહ્યાં છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત ડ્રામા ફિલ્મનું દહિસરના સેટ પરનુ મોટાભાગનું શૂટિંગ અક્ષય કુમારે લૉકડાઉન શરૂ થયું એ પહેલા જ પતાવી દીધું હતું. છતા કેટલાક નિર્ણાયક દ્રશ્યોનું શૂટિંગ હજી બાકી છે. આ ઐતિહાસિક ફિલ્મ જે ચૌહાણ વંશ પર આધારીત છે તેનું સાઇઠ ટકા કામ થઇ ગયું છે.
ADVERTISEMENT
દહિસરમાં બનાવવામાં આવેલો ફિલ્મનો સેટ
યશરાજ ફિલ્મ્સના સૂત્રોએ આ સમાચારને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, આ માહિતિ સચોટ છે. અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની પત્નીની ભૂમિકામાં છે. યશરાજ ફિલ્મ્સનાં મતે જો શૂટિંગ પુરૂ થઈ ગયું હોત તો ફિલ્મ આ વર્ષે દિવાળીમાં રિલીઝ થવાની હતી. જોકે કોરોના સંકટ અને લૉકડાઉનને લીધે ફિલ્મની રજૂઆત લંબાવવાની પુરેપુરી શક્યતાઓ છે.