૨૦૧૧માં આવેલી લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ દ્વારા કાર્તિકે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી
કાર્તિક આર્યન અને દિવ્યેન્દુ શર્મા
દિવ્યેન્દુ શર્માએ જણાવ્યું છે કે કાર્તિક આર્યનને ઍક્ટિંગની ટિપ્સ તેણે આપી હતી. ૨૦૧૧માં આવેલી લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ દ્વારા કાર્તિકે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિવ્યેન્દુ શર્મા, નુસરત ભરૂચા, ઈશિતા રાજ શર્મા, સોનાલી સેગલ અને રાયો એસ. બખીરતા લીડ રોલમાં હતાં. આ ફિલ્મ લોકોને પણ ખૂબ પસંદ પડી હતી. કાર્તિક સાથે કામ કરવાના અનુભવ વિશે દિવ્યેન્દુએ કહ્યું કે ‘તે નવો હતો. કંઈ શીખવા જેવું નહોતું. વાસ્તવમાં તો હું તેને શીખવતો હતો. તે એન્જિનિયરિંગ કૉલેજમાંથી ત્યારે ગ્રૅજ્યુએટ થયો હતો. તે ખુશ હતો અને તેની ખુશી જોઈને મને પણ સારું લાગતું હતું.’
બાદમાં ૨૦૧૫માં તેની સીક્વલ ‘પ્યાર કા પંચનામા 2’ આવી હતી. જોકે આ ફિલ્મમાં દિવ્યેન્દુ નહોતો. દિવ્યેન્દુએ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં કામ કર્યું હતું. બાદમાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેણે ભજવેલું મુન્ના ભૈયાનું પાત્ર યાદગાર રહ્યું હતું. તેને પૂછવામાં આવ્યું હતું કે ‘પ્યાર કા પંચનામા 2’માં કેમ કામ ન કર્યું? તો એનો જવાબ આપતાં દિવ્યેન્દુએ કહ્યું કે ‘હું એક જ પ્રકારનો રોલ નહોતો કરવા માગતો. એક જ વસ્તુ વારંવાર મારે નહોતી કરવી. પહેલા ભાગમાં મેં મારા પાત્ર લિક્વિડને જેટલું યોગદાન આપવાનું હતું એટલું આપ્યું હતું.’