સુશાંતના મૃત્યુને આપણે બિગ બૉસ બનાવી દીધું છે: કુમુદ મિશ્રા
કુમુદ મિશ્રા
કુમુદ મિશ્રાનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ‘બિગ બૉસ’ બનાવી દેવામાં આવ્યું છે. ૧૪ જૂને સુશાંતે સુસાઇડ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી આ કેસમાં નવી-નવી વાતો આવી રહી છે. કુમુદ મિશ્રા અને સુશાંતે 2016માં આવેલી ‘એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કર્યું હતું. આ વિશે કુમુદ મિશ્રાએ કહ્યું હતું કે ‘ખરેખર મને ખબર નથી પડતી કે આપણે કેવા માણસ બની ગયા છીએ. આપણે ક્યારે ચૂપ રહીશું? મને ખબર નથી પડતી કે શું કહેવું જોઈએ, કારણ કે એક યુવાન સ્ટારને ખોવાની વાત ખૂબ જ દુઃખદ છે. આ કેસને સીબીઆઇ ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને તેમને તપાસ કરવા દેવી જોઈએ. તેમની ફૅમિલીને એકલી છોડી દો. આપણે તેમને તેમના દીકરાનું દુઃખ વ્યક્ત કરવા માટે પણ સમય નથી આપ્યો. આપણે મૃત્યુ પામેલી વ્યક્તિના આત્માને પણ શાંતિ નથી આપી શકતા. તેના મૃત્યુને આપણે ‘બિગ બૉસ’ બનાવી દીધું છે અને એ જ સૌથી મોટી ટ્રૅજેડી છે. લોકો જે રીતે નવી-નવી વાતો કાઢી રહ્યા છે, લોકો જે ભૂતકાળને બહાર લાવી રહ્યા છે એનો જવાબ આપવા માટે સુશાંત આપણી વચ્ચે નથી.’