કંગના રનોટ પર શા માટે ભડક્યો કરણ પટેલ?
કંગના રનોટ, કરણ પટેલ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી જોર પકડયું છે. સોશ્યલ મીડિયા પર અને બૉલીવુડમાં સગાવાદના મુદ્દે બહુ ચર્ચાઓ થઈ રહી છે. અભિનેત્રી કંગના રનોટ સહિત અનેક સેલેબ્ઝ સગાવાદ પર ખુલીને વાત કરી રહ્યાં છે. ત્યારે ટીવી અભિનેતા કરણ પટેલ કંગાના રનોટ પર ભડકી ગયો છે અને તેને વળતો જવાબ આપ્યો છે. કરણ પટેલે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેની સાથે સંબંધ ન ધરાવતા લોકો પણ ફાયદો ઉઠાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કરણ પટેલે અભિનેત્રી કંગના રનોટનું નામ લીધા વગર કહ્યું હતું કે, હાલમાં જ એક અભિનેત્રી સગાવાદ પર બહુ બોલી રહી છે અને તેણે થોડા સમય પહેલા જ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તો જો તે આટલી મોટી સ્ટાર છે તો તેણે સુશાંત સિંહ રાજપૂતને તેની ફિલ્મમાં કેમ ન લીધો? તેણે પહેલા સોનૂ સૂદને ફિલ્મમાં લીધો પછી બીજા કોઈ અભિનેતાને. મે ક્યારેય તે અભિનેત્રીને નવા દિગ્દર્શક કે નવા અભિનેતા સાથે કામ કરતી નથી જોઈ. જ્યારે તમે પોતે મોટા સ્ટુડિયોના નામની પાછળ ભાગો છો તો પછી સગાવાદનો ડંકો શા માટે વગાડો છો? તમારું દિલ મોટું છે અને તમારું પ્રોડક્શન હાઉસ છે તો પછી કોઈ ન્યૂકમર, નવા દિગ્દર્શકને તક આપો. તેમની ફિલ્મોમાં હીરોઈન તરીકે કામ કરો. ત્યારે આપણે વાત કરશું અને તમારી વાત સાંભળીશું.
ADVERTISEMENT
વધુમાં કરણ પટેલે કહ્યું હતું કે, કંગના રનોટની બહેન રંગોલી જ તેનો આખો બિઝનેસ સંભાળે છે. તો તેણે કેમ નવા લોકોને નોકરી પર ન રાખ્યા? જે લોકો પાસે MBAની ડિગ્રી હોય તેવા લોકોને કેમ તેણે તક ન આપી?
તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી કંગના રનોટે બૉલીવુડના એક મોટા પ્રોડક્શન હાઉસ પર અને ઈન્ડસ્ટ્રીના અન્ય લોકો પર સગાવાદનો આરોપ લગાવ્યો છે.