નણંદબા પિયર આવી ગયાં અને ડિપ્રેશનનું નાટક કરીને એશોઆરામ ફરમાવે છે
પ્રતીકાત્મક તસવીર
સેજલને સવાલ
સવાલઃ અમારો પરિવાર ખૂબ રૂઢિચુસ્ત છે. જોકે સાસુ-સસરા મને ભગવાન જેવા મળ્યાં છે એટલે સાસરિયું ક્યારે મારું બની ગયું એની ખબર જ નહોતી પડી. મારે બે નણંદો છે અને બન્ને મારા હસબન્ડથી મોટી છે. જોકે સૌથી મોટી નણંદના લગ્ન મારા આવ્યા પછી થયાં. માંડ છએક વર્ષ ગાડું ગબડ્યું હશે અને એ પછી તેઓ તેમના દીકરાને લઈને પિયર આવી ગયાં છે. તેમને પિયરથી પાછા આવ્યે લગભગ સવા બે વર્ષ થશે. હજી છૂટાછેડા થયાં નથી. પતિ સાથેથી છૂટા પડ્યાના ગમને નામે તેઓ હજીયે ઘરના એકેય કામમાં મદદ નથી કરતાં. આખો દિવસ રૂમમાં બેસી રહેવું અને પછી સહેજ ફ્રેશ થવાના નામે આખી સાંજ બહાર ભટક્યા કરે અને શૉપિંગ કરીને ઘરમાં ખડકલો કરે. એક વાત કહી દઉં બધી જ ખરીદી પોતાના અને દીકરા માટે જ હોય. એ સિવાય બીજા કોઈ માટે એક ચીજ પણ ખરીદી નથી. મારી દીકરી માટે પણ નહીં. નણંદનો દીકરો અને મારી દીકરી લગભગ સરખેસરખાં છે એટલે એ બન્નેની જવાબદારી મારે જ નિભાવવાની. તેમને સ્કૂલે જવા માટે તૈયાર કરવાથી માંડીને દૂધ-નાસ્તાનો સમય સાચવવાનો અને ખવડાવવાનું કામ પણ મારે જ કરવાનું. મારાં સાસુની તબિયત હવે કથળી છે એટલે તેઓ પણ પહેલાં જેવી મદદ નથી કરી શકતાં. હું પાર્ટ-ટાઇમ જૉબ કરું છું અને છતાં સવાર-સાંજનું જમવાનું બનાવવાથી માંડીને ઘરમાં લાવવા-મૂકવાનું અને સાફસફાઈનું બધું જ કામ મારે જ જોવાનું. આમ કહે છે કે જમાઈ સાથે તેમને બનતું નથી, પરંતુ જમાઈ તેમને અત્યારે પણ હાથખર્ચી માટે સારીએવી રકમ મોકલાવે છે. એ રકમ તો શૉપિંગમાં ખર્ચાઈ જાય છે એટલે દીકરાની સ્કૂલની ફી પણ મારા સસરા જ ભરે. મને લાગે છે કે ડિપ્રેશનનો ડોળ કરવાની આદત પડી ગઈ છે. સસરા ઇચ્છે છે કે જો તેને હવે પાછા સાસરે ન જવું હોય તો નોકરી કરીને છોકરાની જવાબદારી ઉઠાવતાં થઈ જવું જોઈએ, પણ જ્યારે એની વાત આવે છે ત્યારે બહેનબા રડીરડીને અડધાં થઈ જાય છે.
ADVERTISEMENT
જવાબઃ તમે તમારી જગ્યાએ એકદમ સાચાં છો. બીજું કઈ પણ હોય તો આમ જ ફીલ કરે. નણંદ હોય કે દેરાણી-જેઠાણી, જો એક ઘરમાં રહેવું હોય તો કામની વહેંચણી બાબતે સમાનતા જરૂરી છે. તમારા કેસમાં મને માત્ર કામની વહેંચણી એ ઇશ્યુ નથી લાગતો. તેઓ કામ નથી કરતાં એના કરતાં તેઓ જે રીતે જીવન જીવી રહ્યા છે એ મોટો સવાલ છે. ચાલો માની લઈએ કે અત્યારે તમારાં નણંદ જે પરિસ્થિતિમાં છે એ જોતાં તેમના ડિપ્રેશનને સાવ જ નાટક કહીને વખોડી નાખવું ઠીક નથી, પરંતુ તેઓ જે રીતે કામને ટાળીને ફરવા નીકળી પડે છે, પતિના પૈસાથી મોજ કરે અને પિતાના પૈસા વાપરે છે એ જોતાં વાત એટલી સાદી પણ નથી લાગતી.
આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ
તમારાં નણંદના વર્તન પાછળનું કારણ ન સમજાય ત્યાં સુધી આપણે અંધારામાં તીર માર્યા કરીએ એનો કોઈ ફાયદો ન થાય. તમારા સાસુ-સસરાએ પહેલ કરીને તેમને કોઈ સાઇકોલૉજિકલ કાઉન્સેલર પાસે લઈ જવાં જોઈએ. કદાચ પતિ પાસે પાછાં ન જવું હોય તો પણ પિયરમાં રહીને જવાબદારીભર્યું જીવન જીવવા માટે તેમને તૈયાર કરવાં મસ્ટ છે. બની શકે કે આવી જ બેજવાબદારીને કારણે તેમનું લગ્નજીવન ટક્યું નથી. પતિ તરફથી મળતા પૈસાનો હિસાબ રાખીને બચત કરવાનું અને પૈસા કમાવા માટેનું દબાણ તમારાં સાસુ એટલે કે તેમની મમ્મી કરે તો થોડુંક સહેલું રહેશે.