શિખરને હટાવીને મંદિરની ઉપરના ભાગને એમ જ ખુલ્લો રાખવામાં આવતો હોવાથી મંદિરનો દેખાવ દ્રવિડ શૈલીના મંદિર જેવો આવે અને એમ છતાં પણ મંદિરનો આધાર તો નાગર શૈલીનો જ હોય
અરાઉન્ડ ધી આર્ક
મંદિર
આપણે નાગર અને દ્રવિડ શૈલીનાં મંદિરો અને એ પ્રકારનાં મંદિરોની શું વિશેષતા હોય એના વિશે વાત કરી. હવે વાત કરવાની છે આ બે શૈલી સિવાયની ત્રીજી શૈલીની જેનાં મંદિરો પણ આપણે ત્યાં જોવા મળે છે. એ છે વેસર શૈલી. આ જે વેસર શૈલી છે એને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બેસર શૈલી પણ કહે છે તો વેસર શૈલીને દક્ષિણ ભારતમાં ચાલુક્ય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. વેસર શૈલી હકીકતમાં તો નાગર અને દ્રવિડ શૈલીના મિશ્ર રૂપમાંથી સર્જાયેલી શૈલી છે. આ શૈલીને વધારે સારી રીતે સમજીએ એ પહેલાં તમને કહેવાનું કે વેલુરમાં આવેલું ચેન્નકેશવ મંદિર છે એ વેસર શૈલીથી બનેલું છે તો મધ્ય પ્રદેશમાં પણ અનેક મંદિરો વેસર શૈલીનાં છે અને મહારાષ્ટ્રમાં પણ ઘણાં મંદિરો વેસર શૈલીનાં છે. કર્ણાટકમાં વેસર શૈલીનાં મંદિરોનું પ્રમાણ સૌથી વધારે હોવાનું મારા અભ્યાસમાં મેં જોયું છે.