ટીમની પ્રશંસા કરતાં કોહલીએ જણાવી પ્લેયરોની ખાસિયત
વિરાટ કોહલી
સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં રમાયેલી બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને મોહમ્મદ શમીએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. આ વાતના સંદર્ભે ગઈ કાલે બીજી ટેસ્ટ મૅચ પહેલાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટીમ ઉપરાંત મોહમ્મદ શમીનાં વખાણ કર્યાં હતાં.
શમીના સંદર્ભમાં વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘શમી હવે પહેલાંના કરતાં વધારે જવાબદારીથી રમે છે. તેને હવે કેવી બોલિંગ કરવી એ કહેવું નથી પડતું. મૅચની સ્થિતિ સમજીને તે જાણી જાય છે કે હવે કેવો સ્પેલ નાખવો જોઈએ. શમીની બોલિંગમાં હવે પહેલાં કરતાં વધારે સારી મૂવમેન્ટ્સ જોવા મળે છે.’
ADVERTISEMENT
શમી ઉપરાંત કુલદીપ યાદવને સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં સ્થાન ન મળવાની બાબતે કોહલીએ કહ્યું હતું કે ‘કુલદીપ જાણે છે કે શા માટે તેને ટીમમાં સ્થાન નથી મળ્યું. ખરું કહું તો ટીમમાં કોઈ સ્વાર્થ નથી. દરેક પ્લેયરને ખબર છે કે તે ટીમ માટે શું કરી શકે છે. કુલદીપ સાથે પણ એવું જ છે. તે જાણે છે અમારી પહેલી પસંદ અશ્વિન અને જાડેજા છે કેમ કે જરૂર પડે ત્યારે આ બન્ને પ્લેયર બૅટથી પણ કમાલ કરી શકે છે.’
આ પણ વાંચો : સિરીઝ પર કબજો મેળવવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા
વાસ્તવમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ટીમ ઇન્ડિયા પોતાની ટીમમાં સતત પરિવર્તન કરી રહી છે જે બાબતે કોહલીએ કહ્યું કે ‘પાછલાં ત્રણ વર્ષોમાં સૌથી ઓછી મૅચ હારવાનો રેકૉર્ડ આપણી ટીમના નામે છે અને એ સારી વાત છે, કારણ કે ટીમ પાસે પ્લેયરોની વરાઇટી છે. ટીમમાં દરેક પ્લેયર ખાસ છે અને એ જ ટીમની ખરી તાકાત છે.’