બ્રિસ્બેન ટેસ્ટમાંથી વિહારી-જાડેજા આઉટ શાર્દુલ લઈ શકે ઑલરાઉન્ડરની જગ્યા
શાર્દુલ ઠાકુર
સિડની ટેસ્ટ ડ્રૉ કરાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર હનુમા વિહારી માંસપેશીઓમાં થતા ખેંચાણને લીધે ચોથી ટેસ્ટ મૅચમાંથી આઉટ થઈ ગયો છે. ગઈ કાલે મૅચ પત્યા બાદ તેને સ્કૅનિંગ માટે લઈ જવાયો હતો. જોકે તેનો રિપોર્ટ મોડી સાંજે અથવા આજે આવશે, પણ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના જણાવ્યા પ્રમાણે વિહારી ચોથી ટેસ્ટ મૅચ સુધી ફિટ થવાની સંભાવના ઘણી ઓછી હોવાથી તે ચોથી ટેસ્ટ મૅચમાં નહીં રમી શકે. તેને રીહૅબ માટે કમસે કમ ચાર અઠવાડિયાં લાગી શકે છે જેને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સિરીઝ પણ નહીં રમી શકે. વિહારી ઈજાગ્રસ્ત થતાં ટીમ ઇન્ડિયાએ હવે વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે રિષભ પંત અથવા વૃદ્ધિમાન સહામાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.
સામા પક્ષે બ્રિસ્બેન ટેસ્ટમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં ટી. નટરાજનને બદલે શાર્દુલ ઠાકુરને રમવાની તક મળી શકે છે. સિડની ટેસ્ટમાં શાર્દુલનો સમાવેશ થવાની સંભાવના હતી, પણ ટીમે નવદીપ સૈની પર પસંદગી ઉતારી હતી. એવામાં જાડેજા ઈજાગ્રસ્ત થતાં હવે ઇન્ડિયન ટીમે શાર્દુલ અથવા તો નટરાજનમાંથી કોઈ એકની પસંદગી કરવી પડે એમ છે.