રોહિત શર્મા અને વિરાટ કોહલી ભૂતપૂર્વ હેડ કોચની ટીમનો હિસ્સો, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારનો પણ સમાવેશ
રવિ શાસ્ત્રી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ વન-ડે વર્લ્ડ કપ 2027માં પોતાની પસંદગીની ભારતીય સ્ક્વૉડ જણાવી છે. ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ભારતની કારમી હાર પરની એક ચર્ચા દરમ્યાન રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ સ્ક્વૉડ માટે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
રવિ શાસ્ત્રી અનુસાર ભારતીય સ્ક્વૉડમાં શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને સ્થાન મળવું જોઈએ.
ADVERTISEMENT
વન-ડે વર્લ્ડ કપ આવતા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. છેલ્લો વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતમાં રમાયો હતો. ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં યજમાન ટીમને હરાવીને રેકૉર્ડ છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું.
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં રમનાર ૧૦ ખેલાડીઓને રવિ શાસ્ત્રીની આ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે તેણે અનુભવી ખેલાડીઓને ભારતના વર્લ્ડ કપ પ્લાનમાં મોટી ભૂમિકા ભજવા માટે પસંદ કર્યાં છે.
શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ હાલમાં ભારતની રેગ્યુલર વન-ડે ટીમનો ભાગ છે. રિષભ પંત ઑગસ્ટ ૨૦૨૪માં, મોહમ્મદ સિરાજ જાન્યુઆરી ૨૦૨૬માં, મોહમ્મદ શમી માર્ચ ૨૦૨૫માં, ભુવનેશ્વર કુમાર જાન્યુઆરી ૨૦૨૨માં ભારત માટે છેલ્લી વખત વન-ડે મૅચ રમ્યા હતા.
યંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને સ્થાને રવિ શાસ્ત્રીએ રવીન્દ્ર જાડેજાને ટીમમાં પસંદ કર્યો છે. રવીન્દ્ર જાડેજા છેલ્લે જાન્યુઆરી ૨૦૨૫માં વન-ડે મૅચ રમ્યો હતો અને હાલમાં ટીમમાં સ્થાન મેળવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. વિકેટકીપર ઈશાન કિશનને સ્થાને રિષભ પંત પર વિશ્વાસ મૂકવાનું સૂચન રવિ શાસ્ત્રીએ આપ્યું છે.
આ સ્ક્વૉડનો વન-ડે ફૉર્મેટનો અનુભવ
શુભમન ગિલ : ૬૭ વન-ડેમાં ૩૩૭૯ રન
રોહિત શર્મા : ૨૮૮ વન-ડેમાં ૧૧,૮૯૫ રન
વિરાટ કોહલી : ૩૧૪ વન-ડેમાં ૧૪,૯૪૧ રન
શ્રેયસ ઐયર : ૮૨ વન-ડેમાં ૩૧૩૬ રન
કે.એલ. રાહુલ : ૯૮ વન-ડેમાં ૩૪૧૨ રન
રિષભ પંત : ૩૧ વન-ડેમાં ૮૭૧ રન
હાર્દિક પંડ્યા : ૯૪ વન-ડેમાં ૧૯૦૪ રન, ૯૧ વિકેટ
રવીન્દ્ર જાડેજા : ૨૧૦ વન-ડેમાં ૨૯૦૫ રન, ૨૩૨ વિકેટ
અક્ષર પટેલ : ૭૪ વન-ડેમાં ૯૧૮ રન, ૮૦ વિકેટ
કુલદીપ યાદવ : ૧૨૧ વન-ડેમાં ૧૯૪ વિકેટ
જસપ્રીત બુમરાહ : ૯૧ વન-ડેમાં ૧૫૧ વિકેટ
મોહમ્મદ સિરાજ : ૫૦ વન-ડેમાં ૭૬ વિકેટ
મોહમ્મદ શમી : ૧૦૮ વન-ડેમાં ૨૦૬ વિકેટ
ભુવનેશ્વર કુમાર : ૧૨૧ વન-ડેમાં ૧૪૧ વિકેટ
અર્શદીપ સિંહ : ૧૮ વન-ડેમાં ૩૦ વિકેટ
