ટેસ્ટનો ત્રીજો દિવસ ન્યુ ઝીલૅન્ડની બૅટિંગ ઉપરાંત અજિંક્ય રહાણે આઉટ થવાની રીતને લઈને પણ ચર્ચામાં છે
વીવીએસ લક્ષમણ
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ટેસ્ટનો ત્રીજો દિવસ ન્યુ ઝીલૅન્ડની બૅટિંગ ઉપરાંત અજિંક્ય રહાણે આઉટ થવાની રીતને લઈને પણ ચર્ચામાં છે. કોહલી આઉટ થયા બાદ રહાણે શાનદાર ટચમાં દેખાતો હતો. તે પોતાની હાફ સેન્ચુરીથી માત્ર એક રન દૂર હતો ત્યારે નીલ વૅગનરના બૉલમાં લૅથમના હાથમાં કૅચઆઉટ થયો. તે જે પ્રમાણે આઉટ થયો એનાથી વીવીએસ લક્ષમણ નારાજ છે. તેણે રહાણેની બૅટિંગની નબળાઈ પણ બતાવી હતી.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં લક્ષ્મણે કહ્યું કે ‘હું હંમેશાં કેન વિલિયમસનની કૅપ્ટન્સીથી પ્રભાવિત છું. મને લાગ્યું કે રહાણે સેટ થઈ ગયો છે, સારી બૅટિંગ કરી રહ્યો છે. તે બીજા દિવસની સરખામણીમાં સારી બૅટિંગ કરી રહ્યો હતો, પરંતુ રહાણેની બૅટિંગની પૅટર્ન બની ચૂકી છે. ન્યુ ઝીલૅન્ડે ઘરઆંગણે રમાયેલી સિરીઝ દરમ્યાન પણ તેની વિરુદ્ધ આ જ રણનીતિ અપનાવી હતી. આ વાતને રહાણેએ સમજવી જોઈએ.’
ADVERTISEMENT
કોહલી સાથેની ૬૧ રની પાર્ટનરશિપ તૂટ્યા બાદ રહાણેને લાગ્યું કે રનની સ્પીડ વધારવી જોઈએ. એક વખત વૅગનરના બૉલમાં ખોટી રીતે પુલ શૉટ ફટકાર્યો હતો, પરંતુ બચી ગયો હતો. વૅગનરે ફરી શૉર્ટ બૉલ નાખ્યો. રહાણે પુલ શૉટ ફટકારવાની જાળમાં ફસાઈને આઉટ થયો.