વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની સૌપ્રથમ ફાઇનલમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા : મૅચના બાકીના દિવસોમાં પણ વરસાદની આગાહી : ૨૩ જૂનનો અનામત દિવસ બની શકે મૅચનો નિર્ણાયક દિન
મૅચના બાકીના દિવસોમાં પણ વરસાદની આગાહી
ઇંગ્લૅન્ડમાં સધમ્પ્ટનના એજીસ બૉલ મેદાન પર ગઈ કાલે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની સૌપ્રથમ ફાઇનલના આરંભમાં જ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની સ્થિતિ સર્જાઈ હતી. ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની આ મૅચમાં વરસાદને કારણે આખા પહેલા દિવસની પૂરા ૬ કલાકની રમત ધોવાઈ ગઈ હતી અને વધુ આંચકાજનક બાબત એ છે કે મૅચના પાંચેપાંચ દિવસ વરસાદ પડવાની આગાહી છે. આઇસીસીએ ૨૩ જૂનનો (છઠ્ઠો દિવસ) રિઝર્વ ડે રાખ્યો છે, પરંતુ જો મૅચનું કોઈ પરિણામ નહીં આવે તો ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ટ્રોફી શૅર થશે. મર્યાદિત ઓવરોના ફૉર્મેટમાં ભારત અને શ્રીલંકા એક વાર ટ્રોફી શૅર કરી ચૂક્યા છે.
ટેસ્ટના પાંચ દિવસ (૧૮-૨૨ જૂન) બાદ છઠ્ઠો દિવસ (૨૩ જૂન) રિઝર્વ ડે છે અને એનું હવે ઘણું મહત્ત્વ છે. ગઈ કાલે પૂરા ૬ કલાકનો (બે-બે કલાકના ત્રણેય સેશનનો) સમયગાળો વેડફાઈ ગયો હતો.
ADVERTISEMENT
નવી ઘોડી નવો દાવ’ની માફક આજથી પાંચ દિવસની મૅચ કહેવાશે. આજથી માંડીને પહેલા ચારેય દિવસ રમત અડધો કલાક વધુ રમાશે. એટલું જ નહીં, રમતનો શરૂ થવાનો ટાઇમ અડધો કલાક વહેલો કરાયો છે.
ગુરુવારે સાંજે જ સધમ્પટનમાં વરસાદ પડ્યો હતો અને ગઈ કાલે પડશે એવી આગાહી હતી.
સધમ્પ્ટનમાં સારામાં સારી ડ્રેનેજ સિસ્ટમ પણ અપૂરતી સાબિત થઈ છે. ગઈ કાલે સ્થાનિક સમય મુજબ બપોરે ૩ વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે) રમતને રદ જાહેર કરવામાં આવી હતી. ઇંગ્લૅન્ડમાં ગમે ત્યાં ગમે ત્યારે વરસાદ પડતો હોવાથી અન્ય કોઈ સ્થળે પણ આ મૅચ રમાઈ હોત તો વરસાદે મજા કદાચ બગાડી ન હોત.
દરમ્યાન ઇંગ્લૅન્ડમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૩૨માંથી માત્ર ચાર જ ટેસ્ટ ડ્રૉ થઈ હોવાથી ડબ્લ્યુટીસીની આ ફાઇનલનું પણ પરિણામ આવવાની સંભાવના તો ઘણી છે.
ભારત ટીમમાં ફેરફાર કરી શકે
ડબ્લ્યુટીસી ફાઇનલમાં ગઈ કાલે પહેલા આખા દિવસની રમત ન રમાતાં ભારત જાહેર કરાયેલી પોતાની ઇલેવનની ટીમમાં આજે ફેરફાર કરી શકે છે. ન્યુ ઝીલૅન્ડે તો ઇલેવન અગાઉથી જાહેર જ ન કરી હોવાથી આજે પૂરા પ્લાનિંગથી જાહેર કરી શકશે. યાદ અપાવવાનું કે ભારતે ઇલેવનમાં પાંચ રેગ્યુલર બોલરો (બુમરાહ, શમી, ઇશાન્ત, અશ્વિન, જાડેજા)નો સમાવેશ કર્યો છે. સુનીલ ગાવસકરે યોગ્ય જણાય તો ટીમમાં ફેરફાર કરવાનો ગઈ કાલે સંકેત આપ્યો હતો.
માંજરેકર ટૉસ વિશે રસપ્રદ કહે છે
આજે ડબ્લ્યુટીસીની ફાઇનલમાં ટૉસ થશે અને પાંચ દિવસની આ ટેસ્ટ જાણે આજથી જ શરૂ થશે.
ટૉસ કા બૉસ કોણ? એ વિશેની એક ચર્ચામાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિરાટ કોહલી જો ટૉસ જીતે તો સારી વાત છે, પરંતુ હારી જશે તો ભારત માટે એ છૂપા આશીર્વાદ કહેવાશે, કારણ કે મારી દૃષ્ટિએ આ ફાઇનલમાં ટૉસની મોટી ભૂમિકા હશે જ નહીં. બીજું, ટેસ્ટના ફૉર્મેટમાં ઘણી વાર એવું બન્યું છે કે ટૉસ હારી જનાર ટીમ મૅચ જીતી છે. ઇંગ્લૅન્ડમાં દરેક પિચ પર થોડુંઘણું ઘાસ તો હોય જ છે. વાદળિયું હવામાન હોય એટલે કોઈ પણ ટીમ પહેલાં બોલિંગ કરવાનું જ પસંદ કરે. અત્યારે સ્થિતિ એવી જ છે. ભારતીય ટીમે ઓછી પ્રૅક્ટિસ કરી છે એટલે પ્રથમ બૅટિંગ ભારતને થોડી નુકસાનકારક નીવડી શકે. જોકે બોલિંગમાં ભારત મેદાન મારી જશે.’