વાઇટ-બૉલ ફૉર્મેટના વર્લ્ડ કપમાં ભારત સામે દસમાંથી માત્ર એક મૅચ જીત્યું છે ઝિમ્બાબ્વે
સૂર્યકુમાર યાદવ, સિકંદર રઝા
ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં આજે ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે સુપર 8 રાઉન્ડની આઠમી મૅચ રમાશે. બન્ને ટીમ આ રાઉન્ડમાં પહોંચીને પહેલી મૅચ ખરાબ રીતે હારીને આવી છે. ટ્રોફીની રેસમાં ટકી રહેવા માટે આજે બન્ને ટીમે બાઉન્સબૅક કરવું જરૂરી છે. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમોને ચોંકાવનાર ઝિમ્બાબ્વે સામે જીતવું ટીમ ઇન્ડિયા માટે સરળ રહેશે નહીં.
વાઇટ-બૉલ ફૉર્મેટના વર્લ્ડ કપમાં બન્ને ટીમ વચ્ચે ૧૦ મૅચ રમાઈ છે, એમાંથી ભારત ૯ અને ઝિમ્બાબ્વે એક મૅચ જીત્યું છે. વન-ડે વર્લ્ડ કપની ૯ મૅચમાંથી ઝિમ્બાબ્વે એક મૅચ ૧૯૯૯માં ૩ રને જીતવામાં સફળ રહ્યું હતું. T20 વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે એકમાત્ર ટક્કર ૨૦૨૨માં થઈ હતી જેમાં ભારતીય ટીમે બાજી મારી હતી. T20 ફૉર્મેટમાં સામસામે બન્નેની ૧૩ વખત ટક્કર થઈ છે. એમાંથી ઝિમ્બાબ્વે માત્ર ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૨૪માં એક-એક મૅચ જીત્યું હતું.
ADVERTISEMENT
ચેપૉક સ્ટેડિયમમાં ભારતને ૩ T20 મૅચમાંથી માત્ર એક હાર ૨૦૧૨માં ન્યુ ઝીલૅન્ડ સામે ૧ રને મળી હતી. ઝિમ્બાબ્વે આ સ્ટેડિયમમાં પહેલી વખત T20 મૅચ રમશે. અહીં ઝિમ્બાબ્વે ૧૯૮૭ના વર્લ્ડ કપ દરમ્યાન એકમાત્ર વન-ડે મૅચ ઑસ્ટ્રેલિયા સામે રમ્યું હતું અને ૯૬ રને હાર્યું હતું.
જો તમે T20 વર્લ્ડ કપમાં સતત ૧૨ મૅચ જીતશો તો એક ખરાબ દિવસ પણ આવશે. અને મને ખુશી છે કે એ હાર વહેલી આવી. કદાચ ભારતને એક ધબડકા સાથે ફેરફારની જરૂર હતી. - ભારતના ભૂતપૂર્વ હેડ કોચ ગૌતમ ગંભીર
ભારતમાં ભારતીય ટીમ સામે ૨૪ વર્ષ બાદ ટકરાશે ઝિમ્બાબ્વે
ઝિમ્બાબ્વે સાથેની ભારતીય ટીમની મોટા ભાગની ઇન્ટરનૅશનલ મૅચો ભારતની બહાર જ રમાઈ છે. ઝિમ્બાબ્વે છેલ્લે ભારતીય ટીમ સામે ભારતમાં ૨૦૦૨ની ૧૯ માર્ચે ગુવાહાટીમાં વન-ડે મૅચ રમ્યું હતું. ભારતમાં ઝિમ્બાબ્વેની છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ-ટૂર ૨૦૦૨માં જ થઈ હતી. ૨૦૦૨માં ક્રિકેટમાં T20 ફૉર્મેટની રમત અને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) જેવી ટેક્નૉલૉજી નહોતી. માર્ચ ૨૦૦૨માં કૅપ્ટન સૂર્યા માત્ર ૧૨ વર્ષનો હતો અને ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિંકદર રઝા ૧૬ વર્ષની ઉંમરે પાકિસ્તાનથી ઝિમ્બાબ્વેમાં ફૅમિલી સાથે શિફ્ટ થઈ રહ્યો હતો.
T20 વર્લ્ડ કપની નિર્ણાયક મૅચો પહેલાં અભિષેક શર્મા, અક્ષર પટેલે મરુન્ડેશ્વર મંદિરમાં શિવજીના આશીર્વાદ લીધા

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં આજે ગ્રુપ વનની બે નિર્ણાયક મૅચો રમાવાની છે. ભારતે ઝિમ્બાબ્વે સામે મોટા અંતરની જીત મેળવવાની સાથે બપોરની મૅચમાં સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝને હરાવે એવી આશા રાખવી પડશે. આ મહત્ત્વપૂર્ણ દિવસ પહેલાં ગઈ કાલે ચેન્નઈના પ્રખ્યાત મરુન્ડેશ્વર મંદિરમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા અને વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ આખી ટીમ વતી આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મરુન્ડેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરને ઉપચારનું સ્થળ માનવામાં આવે છે. મરુન્ડેશ્વરનો અર્થ ઔષધીઓનો સ્વામી થાય છે. ભક્તો અહીં બીમારીઓથી રાહત અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
