ચેઝિંગ દરમિયાન જેટલો જ કૉન્ફિડેન્ટ પહેલી બૅટિંગ વખતે જાળવવો હતો: કોહલી
શ્રીલંકા સામે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૨-૦થી જીતી લેનાર ભારતે ૨૦૨૦ની વિજયી શરૂઆત કરી છે. આ વિશે વિરાટ કોહલીનું કહેવું છે કે ચેઝિંગ દરમ્યાન ટીમ જેટલી કૉન્ફિડન્ટ હોય છે એટલી જ કૉન્ફિડન્ટ એ બૅટિંગ દરમ્યાન પણ રહેવા ઇચ્છતા હતા. લોકેશ રાહુલ અને શિખર ધવને ટીમને એક મજબૂત શરૂઆત આપ્યા બાદ આઉટ થઈ ગયા હતા અને મિડલ ઑર્ડર પણ ટકી શક્યો નહોતો. નીચલા ક્રમે બૅટિંગ કરવા આવેલા મનીષ પાંડે અને શાર્દુલ ઠાકુરે ટીમની પારી સંભાળીને સ્કોરને ૨૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. આ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘જ્યારે પણ ૨૦૦ જેટલો સ્કોર અમે બનાવી લઈએ છીએ એટલે એક પ્રકારનો કૉન્ફિડન્સ આપોઆપ આવી જાય છે. મિડલ ઑર્ડર રમી ન શક્યું, પણ મનીષ અને શાર્દુલની બૅટિંગ કમાલની રહી હતી. મેં વિચાર્યું હતું કે અમે ૧૮૦ જેટલા રન કરી શકીશું, પણ અમે ૨૦૦ રન કર્યા. વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં પણ મેં ૨૦૦ રન વિચાર્યા હતા અને અમે ૨૩૦ રન બનાવ્યા હતા. ટૂંકમાં અમારી ટીમ એક-બે પ્લેયરો સાથે નહીં, પણ એક ટીમવર્ક સમજીને ચાલે છે. બીજી ઇનિંગમાં જે પ્રકારનો અમારો કૉન્ફિડન્સ હોય છે એ પ્રમાણે પહેલી ઇનિંગમાં પણ રાખવાનો પ્રયાસ કરીએ છીએ.’