રાહુલ જોહરીનું રાજીનામું સ્વીકાર્યું બીસીસીઆઇએ
રાહુલ જોહરી
ભારતીય ક્રિકેટ બોર્ડે એના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ જોહરીને ઈ-મેઇલ દ્વારા તેમનું પદ ખાલી કરવાનું કહ્યું છે. રાહુલ જોહરીએ અગાઉ રાજીનામું આપ્યું હતું, પણ એને સ્વીકારવામાં આવ્યું નહોતું. જોકે છેલ્લા કેટલાક સમયથી ટેન્ડર વિશેની માહિતી લીક થવાને લીધે રાહુલને આ આદેશ આપવામાં આવ્યો હતો. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે ‘તેમને આ નિર્ણયની માહિતી ઈ-મેઇલ દ્વારા કરવામાં આવી છે. તેમણે પહેલાં રાજીનામું આપ્યું હતું, પણ વચગાળાના સમય માટે તેમને તેમનું પદ કન્ટિન્યુ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડની કેટલીક કૉન્ફિડેન્શિયલ નાણાકીય માહિતીઓ લીક થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમે જ્યારે તમારી સંસ્થાની નાણાકીય માહિતી સુરક્ષિત રાખી ન શકો ત્યારે તમારા માટે એ ઘણી મુસીબત ઊભી કરી શકે છે. આ પહેલાં પણ તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેમના વિશે કોઈ ફરિયાદ મળી નહોતી છતાં તેમણે જેન્ડર સેન્સિટીસેશનમાંથી પસાર થવું પડ્યું હતું. અમને લાગે છે કે જે સીઈઓ દંડ ભોગવવાની પ્રક્રિયામાંથી પસાર થયો હોય તેને તેની જવાબદારીમાંથી મુક્ત કરવો જોઈએ. આશા રાખું કે મહિલા ક્રિકેટરો અને બીસીસીઆઇ સાથે કામ કરતી મહિલાઓ હવે પોતાને સુરક્ષિત અનુભવતી હશે.’