વિદેશમાં સફળ થવા માટે થોડું નસીબ પણ જરૂરી છે : અશ્વિન
આર. અશ્વિન
ઇન્ડિયાના ઑફ-સ્પિનર આર. અશ્વિનનું કહેવું છે કે જો બોલરે વિદેશમાં સફળ થવું હોય તો તેમની સ્કિલની સાથે નસીબે જોર કરવું પણ જરૂરી છે. ઇન્ડિયન જર્સીને લાંબા સમય સુધી પહેરનાર સ્પિનરમાં આર. અશ્વિનનું નામ પણ બોલાય છે. જોકે તેના દેશ-વિદેશના ફૉર્મમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. સૌથી ઝડપી ૨૫૦, ૩૦૦ અને ૩૫૦ ટેસ્ટ-વિકેટ લેનાર અશ્વિનનો સાઉથ આફ્રિકાની ટૂર દરમ્યાન પર્ફોર્મન્સ નબળો રહ્યો હતો. આ વિશે અશ્વિનનું કહેવું છે કે ‘હૂં મારા દેશ માટે અને મારા માટે જે ગેમ જીત્યો છું, જેટલી સફળતા મેળવી છે અને જે પણ સિદ્ધિ મેળવી છે એવો પર્ફોર્મન્સ દુનિયાભરમાં હું ગમે ત્યાં જાઉં ત્યાં આપવા માગું છું. હું ઇંગ્લૅન્ડમાં ઘણી મૅચ રમ્યો છું અને મને અહેસાસ થયો છે કે સ્પિનર તરીકે તમારે દરેક બૉલને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ નાખવો જરૂરી છે તેમ જ તમને થોડા નસીબની પણ જરૂર છે. મેં ઘણી તક જતી કરી છે. હું પહેલેથી જ મારી જાતને લઈને ખૂબ ટીકા કરું છું અને હું પોતાના પર ખૂબ સખતાઈથી કામ કરું છું. જોકે આ ક્રિકેટ ક્યારે શરૂ થશે એની મને જાણ નથી, પરંતુ હું હજી પણ મારી જાતને મૅચ રમતો જોઈ શકું છું.’